Wednesday 9 May 2018

યુવાવર્ગને સ્વામીજીનો સંદેશ - ડૉ.એમ.લક્ષ્મીકુમારી






યુવાકાળનું મહત્વ અમૂલ્ય અને અગણિત છે. આ બહુ મૂલ્ય કાળ છે. આ સર્વોત્કૃષ્ટ સમય છે. તમે જેવી રીતે  આ સમયનો ઉપયોગ કરશો તેના આધાર પર જ તમારું ભાવિ જીવન નિર્ધારિત થશે. તમારી પ્રસન્નતા, સફળતા, સમ્માન અને ખ્યાતિ બધુ જ એના પર નિર્ભર છે કે તમે વર્તમાન કાળમાં કેવી રીત જીવો છો? એ વાતને યાદ રાખીએ કે આપણા જીવનનો આ અપૂર્વ સમય એ જ પ્રકારનો છે જે પ્રકારે એક કુંભારની પાસે ભીની માટી હોય છે. તે બહુ જ કુશળતાથી ભીની માટીને પોતાની ઇચ્છા અનુસાર રૂપ અને આકાર આપે છે. એ જ પ્રકારે તમે તમારા જીવન, ચરિત્ર, શારિરીક સ્વાથ્ય અને શક્તિને નિર્ધારિત આકાર આપી શકો છો, ટૂંકમાં તમે તમારી સંપૂર્ણ પ્રકૃતિને તમારી ઇચ્છા અનુસાર બનાવી શકો છો.
ભાગ્યશાળી યુવાનો ! તમારા આ મહાન દાયિત્વને સમજો, આ વિશેષ અધિકારનો અનુભવ કરો આ મહાન કાર્યને હાથમાં લો, ઇશ્વર તમારા તરફ કૃપા પૂર્ણ નજરથી જોઈ રહ્યા છે અને તમારી સહાયતા અને માર્ગદર્શન માટે તૈયાર છે. હું તમને મહાન જોવા માગું છું. વિશ્વને તમારામાં શ્રદ્ધા છે. તમારા ગુરૂઓને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. યુવાન હોવાનો અર્થ એ છે કે તમારામાં આત્મવિશ્વાસ હોય. તમે આશાજન્ય દ્રઢ સંકલ્પ સાથે કાર્ય કરો તથા આત્મ સંસ્કૃતિના મૂલ્યવાન કઠિન કાર્ય ને શુભ અભ્રિપ્રાય સાથે પૂર્ણ કરો.
ખરેખર એનાથી માત્ર તમને જ નહિ પરંતુ   બધા જ સંબંધી વ્યક્તિઓને સર્વોચ્ચ સંતોષ અને પૂર્ણતાનો અનુભવ થશે. ખરેખર તમે જ તમારા જીવનને સાચી દિશા આપી શકો છો.
આદર્શ જીવન જીવો અને તેમાં જ સ્થિર રહો. શ્રેષ્ઠતમ સદગુણોથી સાકાર રૂપમાં સાહસ પૂર્વક વળગેલા રહો. યુવાકાળમાં જ આ પ્રકિયાઓમાં વિકાસ અને પૂર્ણતા સંભવ છે આ વિશ્વાસ અને આત્મ નિર્માણ છે. આથી તમે આ ધારણા વિશેષને રજુ કરતો શબ્દ ‘સફળજીવન’ નો સાચો આશય સમજવાનો પ્રયાસ કરો. જ્યારે તમે જીવનના સંદર્ભમાં સફળતાની વાત કરો ત્યારે તેનો અર્થ માત્ર એટલો જ નથી થતો કે જે કંઈ પણ કામ તમે તમારા જીવનમાં હાથમાં લીધું કે કર્યું તેમાં તમે સફળ થાવ અથવા જે કંઈ વસ્તુને મેળવવાની ઇચ્છા કરો તેને મેળવો અથવા પૂર્ણ કરો. આનો એ પણ અર્થ નથી થતો કે તમારું નામ કે સામાજિક પદ અથવા આધુનિક ફેશનયુક્ત જીવનની તમે નકલ કરો. સાચી સફળતાનો સાર એ છે કે તમે તમારી જાતને શું બનાવો છો. તમે તમારા આચરણને કઇ રીતે વિકસિત કરો છો અને પછી ક્યા પ્રકારના વ્યક્તિ બનો છો? સફળ જીવનનો આ જ મૂળ અર્થ છે. માટે તમને સમજાશે કે મહત્વપૂર્ણ વિષય જીવનમાં સફળતાનો નથી પરંતુ જીવનની સફળતાનો છે. સફળ જીવન એ છે જે એક આદર્શ અથવા ઉદાર વ્યક્તિત્વ-નિર્માણ કરે છે. તમે જીવનમાં જે કંઇ પણ પ્રાપ્ત કર્યું છે તે સફળતાનો માપદંડ નથી પરંતુ તમે જીવન કઇ રીતે જીવો છો અને તમારુંં કાર્ય શું છે? આ બિંદુઓ પર સારી રીતે વિચાર કરી મહાન સુખ પ્રાપ્ત કરો.
આપણી મહાન સંસ્કૃતિમાં જીવનની અવધારણા ચાર સ્તરોમાં કરી છે. પ્રારંભિક સ્તર, વિકાસનું સ્તર, ઉગવાનું સ્તર અને ફળિભુત થવાની ચરમસિમાનું સ્તર. આને પ્રારંભિક કાળ અને આગળના સ્તરને સંતોષજનક વિકાસ માટે અભ્યાસ કાળ કહી શકાય છે. તમારું સ્તર ખરા અને સફળ જીવનની તૈયારીનું સ્તર છે. આમાં જ સર્વોચ્ચ  મૂલ્ય અને મહાન મહત્વ સમાયેલા છે. આ એક ખેડૂત દ્વારા ખેતર ખેડવા અને બીજ વાવવાને સમાન છે. આની તુલના તમારા ઇચ્છિત ભવન નિર્માણના પાયા સમાન પણ કરી શકાય છે. જો આ ભવન તમારા માટે મહત્વ રાખે છે તો તમે સમજી શકો છો કે આનો સાચો પાયો તો વધારે મહત્વનો હશે. ભવનની લાંબાગાળાની મજબૂતી તેના પાયા પર આધારિત છે. તમે આ જ સ્તર પર છો. તમારી તૈયારી બુદ્ધિમત્તાપૂર્ણ સાચી હોય અને આ પ્રકારની હોય જેનાથી તમે જીવનનું સાચું કલ્યાણ કરી શકો,  સર્વોચ્ચ શુભને મેળવી શકો અને તમને સ્થાયી સંતોષ અને સુખ પ્રાપ્ત થઇ શકે. તમે તમારા યુવાકાળમાં નિરંતર આ વાતનું સક્રિય ઉત્સાહ સહિત ધ્યાનમાં રાખો, આપણી સંસ્કૃતિમાં આ સ્તરને બ્રહ્મચર્યાશ્રમ અથવા વિદ્યાર્થી જીવન કહેવાયું છે. આ સ્તર પર તમે માત્ર ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરેનું જ્ઞાન મેળવતા નથી પરંતુ માનવ-સ્વભાવ,  સાચો-વ્યવહાર, આત્મ-સંયમનું વિજ્ઞાન, વિશુદ્ધ-મનનો વિકાસ, ધર્મ, મનુષ્યના કર્તવ્યો તથા આપણા પરિવાર, આપણા સમાજ અને વિશ્વની સાથે ઉચિત સંબંધોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરો.
આજે જ્યારે આપણે બધા સ્વામી વિવેકાનંદજી મહારાજની જન્મતિથિ મનાવી રહ્યા છીએ ત્યારે હું તમારી સામે વેદોમાં વર્ણવાયેલ એક વૃતાંતનું વર્ણન કરવા માગું છું.
એક સમયની વાત છે, ઇન્દ્ર દેવતાએ તેમનો દરબાર લગાવેલો હતો. તેમણે જોયું કે દિવ્ય વ્યક્તિ જે ઇશ્વરની મૂર્તિ સમાન દેખાઈ રહ્યા હતા, તેમના દરબારમાં આવી રહ્યા છે. તેને જોઈને ઇન્દ્રનાં સુરક્ષા સૈનિકોએ પોતાના શસ્ત્રો છોડી દીધા. તેઓએ તે મૂર્તિમંત આત્મતત્વને સાષ્ટાંગ પ્રણામ કર્યા. દેવી અને દેવતાઓએ તેમની પૂજા કરવાનું શરૂ કર્યું. બધાને આ વાત પર આશ્રર્ય થયું કે રાજા ઇન્દ્રએ પણ પોતાના સિહાસનથી ઉતરીને આ સર્વોચ્ચ વ્યક્તિને પ્રાર્થના કરી કે તે આવે અને ગાદી પર બિરાજમાન થાય. ઇન્દ્રની સામે સમસ્યા ઊભી થઇ. તેમને ખબર ન પડી કે તેઓ શું કરે. તેમણે પોતાના ગુરૂ પ્રજાપતિ પાસેથી સલાહ માગી. પ્રજાપતિએ તેઓને ફરીથી તે જ શક્તિની સેવા કરવાનો આદેશ કર્યો. ઇન્દ્રએ ઘણા વર્ષો સુધી તેમની નિષ્ઠાપૂર્વક સેવા કરી અને દિર્ઘ અંતરાળ પછી તેઓએ પૂછ્યું - “હે ઇન્દ્ર ! તમે શું ઇચ્છો છો” ઇન્દ્રએ આદર સહિત કહ્યું, “પૂજનીય મહારાજ, હું એ જાણવા માગું છું કે તમારી પાસે એવી કઇ શક્તિ છે જેના કારણે વગર કોઈ અસ્ત્ર શસ્ત્ર અથવા સેના, તમે ભુ: સ્વ: મહ: જન: તપ: અને સત્યમ લોકોને નિયંત્રિત કરી શકો છો?” “હે ઇન્દ્ર ! આ બહુ જ નાની વાત છે. આ માત્ર મારા ચરિત્ર અને સદગુણના કારણે છે. હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું હું તને વરદાન આપવા માગું છું. કૃપા કરી ઇન્દ્રાસનથી બીજું કંઈપણ વધારે માંગી લો !” તે મૂર્તિમંત ઇશ્વરે ઘોષણા કરી.
ઇન્દ્રએ સવિનય પ્રાર્થના કરી “જો તમે પ્રસન્ન જ છો તો મને તમારા ચરિત્ર અને તમારા બધા જ સદગુણો આપો !”
તે દિવ્ય શક્તિએ કહ્યું – “તથાસ્તું ! એક પછી એક વારંવાર મોટા વિસ્ફોટ અને આઘાતની સાથે પાંચ ચમકદાર પ્રકાશની રશ્મિઓ તેમના શરીરમાંથી નિકળી ઇન્દ્રના શરીરમાં પ્રવેશ કરી ગઈ અને તે સાથે જ તેઓ ઇન્દ્રાસન પરથી પડી ગયા. છેલ્લી રશ્મિએ ઘોષણા કરી કે તમે તમારા ચરિત્ર અને સદગુણ ઇન્દ્રને આપી દિઘા છે જ્યા ચરિત્ર અને સદગુણ છે ત્યાંજ શક્તિ, વીર્ય, સંપતિ અને પ્રજ્ઞા રહે છે.”
સ્વામી વિવેકાનંદ માનવતાના ઉત્થાન હેતુ જીવ્યા; તેઓ ઇચ્છતા હતા કે આપણી ભીતર જ્ઞાનનો પ્રકાશ(શ્રેય) અને સમૃદ્ધિ(પ્રેય) હોય. યુવાવસ્થાનું ઘણું મહત્વ છે કારણ કે આ અવસ્થામાં જ જીવન માટેની આધારશીલા બને છે. બાધાઓ આવશે, પણ તેનાથી શું ? સ્વામીજીએ કહ્યું છે કે સંઘર્ષ, સંઘર્ષ, સંઘર્ષ જ જીવનનો અનિવાર્ય ભાગ છે અને સ્થિરતા મૃત્યુ છે. વેદ ઘોષણા કરતા કહે છે - चरैवेति..चरैवेति...
ઈશ્વર તમને શ્રેય અને પ્રેય પ્રદાન કરે તમારું જીવન વિશુદ્ધ, ચરિત્ર અને સદગુણોથી યુક્ત બને. તમારા કર્મોમાં સાવધાન અને પરિશ્રમી, તમારા પ્રયાસોમાં સાચા બનો તથા તમે નિયમિતરૂપે આધ્યાત્મિક અભ્યાસ કરતા રહો. તમે સ્વામીજીની ઈચ્છાનુસાર આ બધું મેળવો અને રાષ્ટ્રનું ઉત્થાન કરતા રહો. 


No comments:

Post a Comment