Wednesday 9 May 2018


સ્વાવલંબી બનો


- સ્વામી વિવેકાનંદ


શિષ્ય આજે સવારે મઠમાં આવ્યો છે. સ્વામીજીના ચરણોમાં વંદન કરી ઊભા થતાં જ સ્વામીજીએ કહ્યું, “નોકરી જ કરતાં રહેવાથી શું થશે? કોઈ વેપાર કેમ નથી કરતો?” શિષ્ય  એ સમયે એક જગ્યાએ એક ગૃહશિક્ષકનું કામ કરતો હતો, ત્યારે તેના પર પરિવારનો બોજો ન હતો. આનંદથી દિવસો વીતતા હતાં. શિક્ષકના કાર્યની બાબતે શિષ્યે પૂછ્યું ત્યારે સ્વામીજીએ કહ્યું, “બહુ દિવસો સુધી માસ્તરી કરવાથી બુધ્ધિ બગડી જાય છે. દિવસ-રાત છોકરાઓની વચ્ચે રહીને ધીરે-ધીરે જડતા આવી જાય છે; એટેલે આગળ હવે બહુ માસ્તરી ન કર.”
શિષ્ય: તો શું કરું?
સ્વામીજી:કેમ? જો તારે ગૃહસ્થી કરવી છે અને જો ધન કમાવાની ઈચ્છા છે, તો જા અમેરિકા ચાલ્યો જા. હું વેપાર કરવાનો ઉપાય બતાવી દઈશ. પાંચ વર્ષમાં કેટલું ધન કમાઈ લઈશ.
શિષ્ય: ક્યો વેપાર કરું? અને તે માટે ધન ક્યાંથી આવશે?
સ્વામીજી: પાગલની જેમ શું બકે છે? તારી અંદર અદમ્ય શક્તિ છે. તું તો ‘હું કંઈ નથી’ વિચારી વિચારી વીર્યહીન બનતો જાય છે. તું જ કેમ?- આખી જાતિ એવી બની ગઈ છે. જા એક વાર ફરી આવ; જોશે કે ભારત બહાર લોકોનો જીવન-પ્રવાહ કેવા આનંદથી, કેવી શાલિનતાથી, પ્રબળ વેગની સાથે વહ્યો જઈ રહ્યો છે. અને તમે લોકો શું કરી રહ્યાં છો? આટલી વિદ્યા શીખીને બીજાનાં દરવાજા પર ‘નોકરી દો’ કહીને ચીસો પાડી રહ્યા છો. બીજાના ઠોકરો ખાતા-ગુલામી કરીને પણ તમે શું હવે મનુષ્ય રહ્યા છો? તમારાં લોકોનું મૂલ્ય એક ફુટી કોડી પણ નથી. આવી સુજલા સુફલા ભૂમિમાં, જ્યાં અન્ય દેશો કરતાં કરોડ ગણું વધારે ધન-ધાન્ય પેદા થઈ રહ્યું છે, જન્મ લઈને પણ તમારાં લોકોનાં પેટમાં અન્ન નથી. શરીર પર વસ્ત્ર નથી! જે દેશના ધન-ધાન્યએ પૃથ્વીના બાકી બધા દેશોમાં સભ્યતાનો વિસ્તાર કર્યો છે, તે જે અન્નપુર્ણાના દેશમાં તમારા લોકોની આવી દુર્દશા! તમે લોકો ધૃણાસ્પદ કૂતરાથી પણ ખરાબ થઈ રહ્યા ગયા છો! ને પાછા તમારાં વેદ-વેદાંતના બણગાં ફુંકો છો, જે રાષ્ટ્ર જરૂરી અન્ન-વસ્ત્રનો પણ પ્રબંધ નથી કરી શકતું અને બીજાનાં મ્હોં સામે તાકીને જ જીવન પસાર કરી રહ્યું છે, તે રાષ્ટ્રનું  ગર્વ ! ધર્મ –કર્મને તિલાંજલી આપીને પહેલાં જીવન સંગ્રામમાં કુદી પડો.ભારતમાં કેટલી ચીજો ઉત્પન્ન થાય છે. વિદેશી લોકો તે જ કાચા માલ દ્વારા ‘સોનું’ પેદા કરી રહ્યાં છે. અને તમે લોકો ભારવાહક ગધેડાની જેમ તેમનો માલ વહોરતા મરી રહ્યાં છો. ભારતમાં જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે, તેને જ લઈ જઈ પોતાની બુધ્ધિથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવી ધનવાન બની ગયાં; અને તમે લોકો! પોતાની બુદ્ધિ તિજોરીમાં બંધ કરી ઘરનું ધન બીજાને દઈને ‘હા અન્ન’ કરીને ભટકી રહ્યા છો!
શિષ્ય: અન્ન સમસ્યા કેવી રીતે હલ થઈ શકે, મહારાજ?
સ્વામીજી: ઉપાય તમારા જ હાથોમાં છે, આંખો પર પટ્ટી બાંધીને કહી રહ્યાં છો, ‘હું આંધળો છું, કંઈ જોઈ નથી શકતો!’ આંખ પરથી પટ્ટી દૂર કરી દો, જોશો-મધ્યાહનનાં સૂર્યનાં કિરણોથી જગત પ્રકાશિત થઈ રહ્યું છે. રૂપિયા ભેગા નથી કરી  શકતો તો જહાજનો મજુર થઈ વિદેશ ચાલ્યો જા. દેશી વસ્ત્ર, ગમછાં, સૂપ, સાવરણી માથા પર રાખીને અમેરિકા અને યુરોપની ગલીઓ અને સડકો પર ફરી ફરીને વેંચ, જોઈશ કે ભારતમાં ઉત્પન્ન થતી  વસ્તુઓનું આજ પણ ત્યાં કેટલું મૂલ્ય છે. હુગલી જિલ્લાનાં કેટલાક મુસલમાન અમેરિકામાં આવો જ વેપાર કરી ધનવાન બની ગયાં છે. શું તમારી વિદ્યા-બુદ્ધિ તેનાથી પણ ઓછી છે? જો, આ દેશમાં જે બનારસી સાડી બને છે, તેના જેવું ઉત્તમ કાપડ પૃથ્વી પર બીજે ક્યાંય નથી બનતું. આ કપડાને લઈ અમેરિકા ચાલ્યો જા. એ દેશમાં કેટલા રૂપિયા આવે છે!   
શિષ્ય: મહારાજ, તે લોકો શું બનારસી સાડીનું ગાઉન પહેરશે? સાંભળ્યું છે, ત્યાંની સ્ત્રીઓ રંગ-બેરંગી કપડાં પહેરતી નથી.
સ્વામીજી: લેશે કે નહીં, તે હું જોઈશ. હિંમત કરીને જા તો. તે દેશમાં મારા અનેક મિત્રો છે, હું તેમને તારો પરિચય કરાવી દઇશ. શરૂમાં કહી- સાંભળીને તેઓમાં આ ચીજનો પ્રચાર કરાવી દઈશ. પછી જો, કેટલાં લોકો તેમની નકલ કરે છે, પછી તો તેમની માંગને પૂરી કરવા તું પોતાને અસમર્થ જોઈશ.
શિષ્ય: પણ વેપાર કરવા માટે રૂપિયા ક્યાંથી આવશે?
સ્વામીજી:હું કોઈને કોઈ રીતે તારું કામ શરૂ કરાવી દઈશ. પરંતુ તે પછી તારે પોતાના જ પ્રયત્ન પર નિર્ભર રહેવું પડશે. हतो वा प्राप्स्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् –આ પ્રયત્નમાં જો તું મરી પણ જાય તો ખરાબ નથી. તને જોઈને બીજી દસ વ્યક્તિઓ આગળ આવશે.અને જો સફળતા મળી ગઈ તો પછી સુખ પૂર્વક જીવન વ્યતીત કરીશ.
શિષ્ય: પરંતુ મહારાજ, હિંમત નથી થતી.
સ્વામીજી:એટલે તો હું કહું છું કે ભાઈ, તારામાં શ્રદ્ધા નથી, આત્મવિશ્વાસ પણ નથી, શું થશે તમારા લોકોનું?
ન તો તમારાથી ગૃહસ્થી થશે અને ન ધર્મ. કાં તો  આ પ્રકારનાં ઉદ્યોગ- ધંધો કરીને સંસારમાં યશસ્વી, સંપત્તિવાન બન અથવા બધું છોડીને અમારા પથનું અનુસરણ કરી લોકોને ધર્મનો ઉપદેશ દઈ તેમના પર ઉપકાર કર; ત્યારે તું અમારી જેમ ભિક્ષા પામીશ. લેણ-દેણ ન રહેવાથી કોઈ કોઈની સામે જોતું નથી, જોઈ તો રહ્યો છે, અમે ધર્મની બે વાતો સંભળાવીએ છીએ, ગૃહસ્થ લોકો અમને અન્નના બે દાણા આપે છે. તે લોકો તમને તે પણ કેમ દેશે ? નોકરીની ગુલામીમાં, આટલું દુ:ખ જોઈને પણ તમે ચેતતા નથી! એટલે દુ:ખ પણ દૂર નથી થતા. આ ચોક્કસ જ દેવી માયાનું છળ છે. તે દેશમાં મે જોયું જે લોકો પ્રયત્ન કરીને વિદ્યા બુદ્ધિ દ્વારા પોતાનું નામ રોશન કર્યું છે, તેમનાં બેસવા માટે પ્રથમ હરોળમાં બેઠકો હોય છે. તે બધાં દેશોમાં જાતિ-ભેદની માથાફુટ નથી. ઉદ્યમ અને પરિશ્રમથી જેના પર ભાગ્ય- લક્ષ્મી પ્રસન્ન છે, તેને જ દેશનો નેતા અને ભાગ્ય નિર્માતા માનવામાં આવે છે અને તારા દેશમાં જાત-નાતનું મિથ્યાભિમાન છે, એટલે તમને અન્ન મળતું નથી. તમારામાં એક સોઈ સુધ્ધાં તૈયાર કરાવાની યોગ્યતા નથી.અને તમે લોકો અંગ્રેજોના ગુણ દોષોની આલોચના કરવામાં ડુબ્યા છો! મુરખ! જા એમના પગમાં પડ; જીવન સંગ્રામની યોગ્ય વિદ્યા, શિલ્પવિજ્ઞાન અને કાર્યકુશળતા શીખ, ત્યારે તું લાયક બનીશ અને ત્યારે તમારા લોકોનું સમ્માન થશે. તેઓ પણ ત્યારે તમારી વાત માનશે. માત્ર કોંગ્રેસ બનાવીને બૂમો પાડવાથી શું થશે?
શિષ્ય:  પરંતુ મહારાજ, દેશનાં બધા શિક્ષિત લોકો તેમાં સામેલ થઈ રહ્યાં છે.
સ્વામીજી:થોડી પદવી મેળવવાથી અથવા સારૂં ભાષણ દેવાથી જ તેઓ તારી દ્રષ્ટિમાં શિક્ષિત થઈ ગયાં! જે શિક્ષણ સાધારણ વ્યક્તિને જીવન સંગ્રામ માટે સમર્થ નથી બનાવી શકતું, જે મનુષ્યમાં ચરિત્ર બળ, પરહિત ભાવના તથા સિંહ જેવું સાહસ નથી લાવી શકતું, એ પણ કાંઈ શિક્ષણ છે? જે શિક્ષણથી પોતાના પગ પર ઊભા થઈ શકાય તે શિક્ષણ છે. આજકાલનાં આ બધા શાળા-મહાશાળામાં ભણીને તમે લોકો ન જાણે અજીર્ણના રોગીઓ જેવી એક જમાત તૈયાર કરી રહ્યાં છો. માત્ર એક યંત્રની જેમ મહેનત કરી રહ્યાં છો અને “जायस्य म्रियस्व” વાક્યનાં સાક્ષીનાં રૂપમાં ઊભા છો. જે ખેડૂત, મજૂર, મોચી, મેહતર વગેરેની કર્મશીલતા અને આત્મનિષ્ઠા તમારાનાં ઘણાથી ક્યાંય વધારે છે. તેઓ ચીરકાળથી ચુપચાપ કામ કરી રહ્યાં છે, દેશનું ધન-ધાન્ય ઉત્પન્ન કરી રહ્યાં છે, પરંતુ પોતે ફરિયાદ નથી કરતાં. તે લોકો જલ્દી જ તમારા લોકોથી આગળ આવી જશે. પૈસા એમનાં હાથમાં જઈ રહ્યા છે તમારી જેમ તેઓમાં ખામી નથી. વર્તમાન શિક્ષણથી તમારૂં માત્ર બહારથી પરિવર્તન થઈ રહ્યું છે, પરંતુ નવી નવી ઉદ્દભવતી શક્તિના અભાવથી તમે લોકો ધન કમાવાનો નવો ઉપાય શોધી નથી શકતાં. તમે લોકોએ આટલાં દિવસ બઘી સહનશીલ નીચલી જાતિઓ પર અત્યાચાર કર્યો છે. હવેથી  લોકો તેનો બદલો લેશે અને તમે લોકો ‘હા’ નોકરી, કરીને લુપ્ત થઈ જશો.
આ પ્રકારના વાર્તાલાપ પછી સ્વામીજીએ શિષ્યને કહ્યું –“આ બધી વાતો હવે રહેવા દે-તેં હવે શું નક્કી કર્યું, કહે! હું તો કહું છું, જે કંઈ પણ થાય, તું કર ચોક્કસ. કાં તો કંઈ વેપારનો પ્રયત્ન કર, અથવા અમારી જેમ आत्मनो मोक्षार्थ जगत्हिताय च (પોતાના મોક્ષ તથા જગતનાં કલ્યાણ માટે) યોગ્ય સંન્યાસ ના પથનું અનુસરણ કર. આ અંતિમ પથ જ શંકા વગર શ્રેષ્ઠ પથ છે, નકામું ગૃહસ્થ બનવાથી શું થશે? સમજ્યોને, બધું ક્ષણિક છે-  नलिनीदलगतजलतितरलम तद्रज्जीवनमतिशयचपलम् (કમળના પાંદડા પર રાખેલું  આ પાણી ચંચળ છે, તેની જેમ જીવન અત્યંત છે) આથી જો આ આત્મવિશ્વાસને પ્રાપ્ત કરવા આતુર છે તો સમય ન બગાડ! આગળ વધ. यदहरेव विरजेत् तदहरेव प्रव्रजेत | (જે દિવસે સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, તે જ દિવસે તેને ત્યાગીને સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ) બીજા માટે પોતાનું બલિદાન દઈને લોકોનાં ઘરે ઘરે જઈને આ અભય વાણી સંભળાવ- उतिष्ठत जाग्रत प्राप्य त्वरान्निबोधत् |

No comments:

Post a Comment