Wednesday 9 May 2018

વ્યવસ્થાપન
પ્રકરણ – ૪



અગાઉ જણાવ્યા પ્રમાણે વિવેકાનંદ શિલા સ્મારકની રચના બાદની પ્રવૃત્તિ વિશે એકનાથજી સતત વિચારતા  હતા.
કેન્દ્ર સરકારના ગૃહ મન્ત્રાલયમાં પ્રધાન શ્રી વી.સી.શુક્લને સંબોધીને  ૩૦ એપ્રિલ, ૧૯૬૮ના રોજ લખાયેલ પત્રમાં એકનાથજીએ ‘સ્વામી વિવેકાનંદે કલ્પેલી અને દર્શાવેલી પ્રવૃત્તિઓ માટે સક્ષમ એકમ વિશે ઉલ્લેખ કર્યો છે. શ્રી વી. સી. શુકલ શિલા-સ્મારકનાં ઉત્સાહી ટેકેદાર હતા અને તેથી જ એકનાથજી તેમને રજે રજની માહિતી આપતા હતા. તે પત્ર નીચે પ્રમાણે છેઃ
"કમિટી દ્વારા ચાલતા શિલા-સ્મારક પ્રકલ્પનાં બન્ને કાર્યો, કન્યાકુમારી પર સ્મારકના બાંધકામ અને વિવિધ રાજ્યોમાં ઉઘરાવેલ ભંડોળ બાબતમાં થયેલ પ્રગતિ આપની જાણ માટે લખું છું.
આ સાથે બીડેલ ‘સંક્ષિપ્ત અહેવાલ’ આપને પ્રગતિની ઉપયોગી વિગતો પૂરી પાડશે.
આ સાથે વાહનમાં મોકલેલ કંડારેલ પથ્થરો અને શિલા માટે બાંધકામની બીજી સામગ્રી તેમજ સ્મારકના સ્થાને ચાલતા બાંધકામના કેટલાંક પ્રાસંગિક ફોટોગ્રાફ્સ પણ મોકલું છું. દરેક ફોટાની પાછળ તેનું વર્ણન આપેલું છે.
જ્યાંજ્યાં ફંડ એકઠું કરવાની ઝુંબેશ પ્રગતિ કરી રહી છે તેવા રાજ્યોમાંથી પ્રોત્સાહક અહેવાલો સાંપડી રહ્યા છે. આનું અનુકરણ કરીને બાકીના બીજાં રાજ્યોમાં ચાલતી ઝુંબેશ વિશે પણ ઉત્સાહજનક પ્રતિભાવ સાંપડે તેવી અપેક્ષા આપણે રાખીએ છીએ. આપણને એટલી શ્રદ્ધા છે કે આ સ્મારકના બાંધકામ માટેના આપણા ફંડ એકઠું કરવાના  રૂપિયા ૫૦ લાખ અને રૂપિયા ૧૫ લાખના મોટર લોંચના કાયમી નિભાવ ફંડના  લક્ષ્યાંક એમ બન્ને મળીને આપણે નક્કી કરેલા લક્ષ્યાંક રૂપિયા ૬૫ લાખને પાર કરી જઇશુ. આથી હવે શિલા સ્મારક ઉપરાંત સ્વામી વિવેકાનંદે કલ્પેલી અને સૂચવેલી  પ્રવૃત્તિઓને અમલમાં મૂકવા માટે સક્ષમ કેન્દ્ર ચાલું કરવા માટે સમય પાકી ગયો છે.
આથી કમિટીએ આ બાબતમાં વિચારવાનું શરુ કરી દીધું છે. થોડા સમયમાં આ પ્રકલ્પનો કાચો મુસદો તેના નાણાકીય ખર્ચનાં અંદાજ સાથે તૈયાર થશે, ત્યારબાદ તેને દેશની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમના અભિપ્રાય અને માર્ગદર્શન અર્થે મોકલવામાં આવશે. હું આપને પણ તેની એક નકલ મોકલાવીશ.”
એક સારા વ્યવસ્થાપક તરીકે એકનાથજી દાતાઓને બાંધકામની પ્રગતિ વિશે માહિતગાર કરતા રહેતા હતા. આસામના મુખ્ય પ્રધાનને ૩૦ એપ્રિલ, ૧૯૬૮નાં રોજ શિલોંગ લખેલ પત્ર ઉદાહરણરૂપે આપેલ છે.
પત્ર નીચે મુજબ છેઃ
“વિવેકાનંદ શિલા સ્મારક માટે અગાઉના રૂપિયા ૭૫,૦૦૦/- ઉપરાંત હાલના રૂપિયા ૨૫,૦૦૦/- ના દાનને માટે અમો આસામની સરકારનાં ઋણી છીએ.
આસામ સરકાર તરફથી મળેલી કુલ રૂપિયા એક લાખની ઉદાર સખાવતથી અમે અત્યંત પ્રોત્સાહિત થયા છીએ. અમે હાથમાં લીધેલ મહાન કાર્યમાં અમને ઘણી પ્રેરણા મળી છે. મદ્રાસની અમારી મુખ્ય કચેરીએ આ સખાવતની સત્તાવાર પહોંચ પાઠવેલ છે.
આ સાથે કન્યાકુમારી ખાતે થયેલ બાંધકામ અને જુદાંજુદાં રાજ્યોમાંથી એકત્રિત થયેલ ભંડોળમાં થયેલ પ્રગતિનો સંક્ષિપ્ત અહેવાલ મોકલાવી રહ્યો છું.
સાથે સાથે શિલા-સ્મારકના સ્થળે મોકલવામાં આવી રહેલ કંડારેલ પથ્થરો, બાંધકામને લગતી અન્ય વસ્તુઓના ફોટોગ્રાફ્સ પણ મોકલાવું છું.”
અહીં છેલ્લાં ફકરામાં આપણને નાની નાની બાબતોમાં પણ એકનાથજીની ચીવટની પ્રતિતી થાય છે.
શ્રી રામભાઉ મ્હાલગી પ્રબોધીનીએ વ્યવસ્થાપન વિજ્ઞાન પર ‘સંગઠન શાસ્ત્ર’ નામનું પુસ્તક પ્રકાશિત કરેલ છે, જેમાં વિવિધ નિષ્ણાતો દ્વારા વ્યવસ્થાપનની અલગ અલગ પદ્ધતિઓ વર્ણવામાં આવેલ છે.
શ્રી શિવરાજ તેલંગે પરમપૂજ્ય શ્રી ગોલવલકર ગુરુજીની વ્યવસ્થાપન પધ્ધતિ પર લખ્યું છે. શ્રી તેલંગે કહ્યું છે કે ‘સંસ્થા માટે વ્યવસ્થાપન’ એ ગુરુજીની વિચારધારા હતી. એકનાથજીની વ્યવસ્થાપન પધ્ધતિ પર આ વિચારધારાની વ્યાપક અસર પડેલી હોય તે સ્વાભાવિક છે. એકનાથજીએ એ જ વિચારધારાને અપનાવેલ છે.
 મેનેજમેન્ટ પર પશ્ચિમના દેશોમાં અલગ અલગ પદ્ધતિઓ અનુસરવામાં આવે છે. પીટર ડ્રકરે ‘મેનેજમેન્ટ ચેલેન્જીસ ઓફ ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચ્યુરી’ નામના પુસ્તકમાં ટૂંકો ઉલ્લેખ કર્યો છે. તેણે ફ્રાન્સના હેન્રી ફેયોલ, ત્યારબાદ અમેરિકાના જ્હોન જે રોકફેલર સિનીયર, જે.પી. મોર્ગન અને અંતમાં એન્ડ્ર્યુ કાર્નેગીનો દાખલો આપ્યો છે. તેઓ સંસ્થા અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલ હતાં. પણ આ મોટે ભાગે ઉત્પાદન એકમો હતા.
વિવિધ એકમો માટે વિવિધ પ્રકારની સંચાલન પધ્ધતિ, અને અગત્યતા રહેલી હોય છે. ઉત્પાદન સંસ્થાઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓની જરૂરિયાત વિવિધ પ્રકારની હોય છે.
સ્વૈચ્છીક સંસ્થાઓ માટે સંચાલન પધ્ધતિ અત્યંત આવશ્યક છે. મિ. સ્ટીફન પી. ઓસ્બોર્ને ‘ સંસ્થાકીય શ્રેષ્ઠ અભિગમ’  વિશે જણાવ્યું છે. તેમાં સ્વૈચ્છીક સંસ્થાની કામગીરીની સફળતાનું વર્ગીકરણ કરવામાં આવેલ છે.
એકનાથજીએ મેનેજીંગ કમિટિની મીટિંગમાં કહ્યું હતું – “કન્યાકુમારીના કિનારા પરથી હવે શરૂ કરવામાં આવનાર પ્રવૃત્તિઓ વિશે આપણે હવે વિચારવું જોઇએ.” બસ, ત્યારથી જ બીજા તબક્કાનું વર્ષ ૧૯૬૭થી વ્યવસ્થાપન શરૂ થયેલ હતું. ત્યારબાદ ૧૯૬૮ની મીટિંગમાં કાર્યકરોની બિન – સંન્યાસી વર્ગીકરણની ચર્ચા થઇ.એકનાથજીએ તેમના પુસ્તક ‘સેવા એ જ સાધના’ મા ‘બિન-સન્યાસી’ વર્ગ વિશે વિગત આપી છે. આ આખી વિચારધારા અહીં રજૂ કરવામાં આવી છે. તેના મુખ્ય મુદ્દાઓમાં (અ) સ્વામી વિવેકાનંદના સૂચન પ્રમાણે મનુષ્યમાં રહેલી દિવ્યતાને કર્મ, ભક્તિ, માનસિક સંયમ અથવા તત્વજ્ઞાન વડે બહાર લાવી શકાય. (બ) સંન્યાસીના ભગવાં વસ્ત્ર તે વ્યક્તિ અને સમાજ વચ્ચે અંતરાય ઊભો કરે છે. તેથી જ બિન-સંન્યાસી વર્ગ તૈયાર થવો જોઇએ.(ક) સંસ્થામાં જીવનવ્રતીને પોતાના નિભાવની કોઇ ચિંતા કરવાની રહેતી નથી. તે સંસ્થાની સંપૂર્ણ જવાબદારી છે.
આ પ્રકારની સંસ્થા રચના માટે ગહન સંસ્થાકીય પ્રાવિણ્ય આવશ્યક છે. આ કુશળતા એકનાથજીમાં હતી. તેઓ કેવી રીતે આગળ વધ્યા તે જોઇએ.
વિવેકાનંદ કેન્દ્રની શરૂઆત અને પ્રગતિ પરિશિષ્ટ -ઈમાં આપેલ છે. મુખ્ય મુદ્દાઓ અહીં દર્શાવેલ છેઃ
(અ) વિવેકાનંદ શિલા-સ્મારકની અનાવરણ વિધિ રાષ્ટ્રપતિ દ્વારા ૨ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ થઇ. તેના એક વર્ષનાં ગાળામાં એટલે કે ૨૫ મે, ૧૯૭૧ના રોજ સેવા-સંસ્થાનું નામ ‘વિવેકાનંદ કેન્દ્ર’ રાખવામાં આવ્યું. કેન્દ્રની સ્થાપના ૭ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ થઇ. ૩ સપ્ટેમ્બર, ૧૯૭૨ના રોજ તેના જનરલ સેક્રેટરી તરીકે એકનાથજીની વરણી થઇ.
(બ) ૨ ફેબ્રુઆરી ૧૯૭૪નાં રોજ જીવનવ્રતીઓના પહેલાં જૂથની તાલીમ શરૂ થઇ.
(ક) જાન્યુઆરી ૧૯૭૭થી અરુણાચલ પ્રદેશમાં કુલ સાત શાળાઓ શરૂ થઇ.
૧૯૬૭માં પહેલીવાર મેનેજીંગ કમિટીમાં વિવેકાનંદ કેન્દ્રનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ત્યારથી ૧૯૮૨માં એકનાથજીના અવસાન સુધી તેઓ વિવેકાનંદ કેન્દ્રના સંસ્થાપન અને સંચાલનના કાર્યમાં સંપૂર્ણ સમર્પિત રહ્યા હતા. ૧૯૭૨ થી ૧૯૮૨ એમ દશ વર્ષ સુધી પરિશિષ્ટ–ઈ માં દર્શાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ ખૂબ જોશભેર ચાલતી હતી.
‘સેવા એ જ સાધના’માં જણાવ્યા પ્રમાણે એકનાથજીએ એક વ્યાખ્યાન દરમ્યાન કહ્યું હતું- “સંસ્થા એ એક મૂળભૂત છોડ છે જેનો વિકાસ તેને મળેલ પોષણને અનુરૂપ થાય છે. જેના કેન્દ્રસ્થાને એક ઉચ્ચ વિચારની પ્રક્રિયા ગુંથાયેલી હોય છે. ઉમદા અને કલ્યાણકારી વિચાર હંમેશાં સંસ્થાના કેન્દ્ર સ્થાને હોય છે. દુષ્ટ વિચારોની આસપાસ કોઇ સંસ્થા હોતી નથી. ઉમદા અને કલ્યાણકારી વિચારો લોકોના મન પર અસર કરે છે અને તેને નક્કર સ્વરૂપ આપવાનો ખૂબ પ્રયત્ન કરે છે. સરખા વિચારવાળાઓ એકઠા થાય છે અને સાથે મળીને ધ્યેયને પરિપૂર્ણ કરે છે. જેમ સહભાગીઓ વધારે તેમ ધ્યેય પ્રાપ્તિની તક ઉમદા રહે છે. જેમ ઉચ્ચ વિચારસરણી અને બુદ્ધિશાળી લોકો વધારે તેમ ધ્યેયની ગુણવત્તા વધારે. સંસ્થાને હંમેશા એવી વ્યક્તિઓની જરૂર રહે છે કે જેઓ તેમના અંગત જીવનના બધા જ રસ છોડીને માત્ર સંસ્થાને જ સમર્પિત રહે.
દરેક સંસ્થામાં સભ્યો હોય છે અને તે જુદાજુદા વર્ગના હોય છે. તેમાં સામાન્ય સભ્યો, સહકાર્યકરો, આજીવન સભ્યો, સક્રિય સભ્યો, પૂર્ણકાલિન સભ્યો, ઓફિસના કર્મચારીઓ અને કેટલાક સંસ્થાની જરૂરિયાત પ્રમાણેના હંગામી સભ્યો. આ બધાં જ વર્ગના સભ્યોને એક છત્ર નીચે એકઠાં કરવા તે પણ એક કળા છે. માત્ર સભ્યોની સંખ્યા દ્વારા જ સંસ્થાની પ્રગતિ થતી નથી. વ્યક્તિગત રીતે પણ તેઓ સક્ષમ હોવાં જોઇએ. જેમકે શારીરિક રીતે સક્ષમ, માનસિક રીતે  બુદ્ધિશાળી અને આર્થિક રીતે પણ સધ્ધર હોવા જોઇએ. સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં કહ્યું છે કે તેઓએ તેમનું તન (શરીર), મન (બુદ્ધિ) અને ધન (મિલ્કત) આ સિદ્ધાંતના પ્રચાર માટે ન્યોચ્છાવર કરવા જોઇએ. તેઓ ઉમદા વિચારોને નક્કર સ્વરૂપ આપવાનાં આ મહાન કાર્ય માટે શારીરિક દ્રષ્ટિએ પરિશ્રમ અને યાતના, માનસિક દ્રષ્ટિએ સહનશીલ અને આર્થિક દ્રષ્ટિએ સંપત્તિનું દાન કરવા માટે તત્પર રહેવા જોઇએ.”
તેઓ આગળ કહે છે, “ લોકોનું આ સંગઠન; ‘લોક્સંગ્રહ’, ‘લોક સંસ્કાર’ અને ‘લોક વ્યવસ્થા’નું કૌશલ્ય છે.” દરેકે દરેક કાર્યકર વ્યવસ્થાપનનો નિષ્ણાત હોવો જોઇએ. આ ત્રણેયની સાથે ‘લોક સંપર્ક’ ભળતાં એ કળા ચતુશ્રી બને છે.
વિવેકાનંદ રોક મેમોરિયલ સમિતિની પ્રવૃત્તિ કે જેની શરૂઆત ૭ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ થઇ હતી તેનો બીજો તબક્કો આપણે જોયો છે. બીજા તબક્કાના પ્રારંભની પ્રેસ યાદી અપાઇ છે અને તેમાં જેનું મુખ્ય કેન્દ્ર કન્યાકુમારીમાં રહે તેવા ‘વિવેકાનંદ કેન્દ્ર’ નામના સેવા મિશનનો પાદુર્ભાવ થાય  છે તેની જાહેરાત કરવામાં આવી છે.
આ પ્રેસ યાદીમાં આગળ કહ્યું છેઃ ‘ સમિતિના પૂર્ણ આયોજનનો પ્રથમ તબક્કો સંપૂર્ણ રીતે પૂરો થયો નથી, તે વાત સાચી. પ્રથમ તબક્કાના બધાં કાર્યો માટે ફરીથી નક્કી કરેલા રૂપિયા એક કરોડ અને પાંત્રીસ લાખના ખર્ચ સામે કમિટી આશરે રૂપિયા એક કરોડ અને સોળ લાખ એકઠાં કરી શકી છે, આને પરિણામે આ કાર્યને પૂરૂં કરવામાં થોડીક બાબતો કરવાની બાકી રહે છે. પરંતુ હજુ પણ કમિટિને કેન્દ્ર સરકાર, જૂજ રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓ પાસેથી જરૂરી ભંડોળ મેળવીને બાકીની યોજનાનો  અમલ કરવાનો છે, સાથે સાથે બીજા તબક્કાનું કામ જે ઘણું મહત્વનું અને સૂચક છે તે પણ કમિટીએ શરૂ કરવાનું નક્કી કરેલ છે.
આ સેવા સંસ્થાનો મુખ્ય મુદ્રાલેખ માનવ-સેવા હશે. સ્વાભાવિક રીતે માનવ સેવાની અતૂટ ઝંખના ધરાવતી કોઇ પણ વ્યક્તિ નાત- જાત, ધર્મનાં ભેદભાવ વગર સભ્ય બની શકે છે.
કેન્દ્ર આખા દેશમાં અને વિદેશમાં પણ એકમો ખોલવા માટે પ્રયત્નશીલ રહેશે. તેમની પ્રવૃત્તિઓ બે વાક્યો પૂરતી મર્યાદિત રહેશેઃ (૧) સેવા માટે સભ્યોને આવશ્યક તાલીમ આપી સક્ષમ બનાવવા. (૨) તાલીમ પામેલા સભ્યોને જનસેવા માટે કાર્યરત કરવાં.
કેન્દ્રનો એક મુખ્ય ઉદ્દેશ યુવાનોને ખાસ સઘન તાલીમ આપી બિન-સંન્યાસી પ્રકારના આજીવન સેવાવ્રતીઓ તૈયાર કરવા.
આવી રીતે તૈયાર થયેલા જીવનવ્રતીઓના જૂથોને જરૂરતમંદ વિસ્તારોમાં લોકોના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉત્થાન માટે મોકલવામાં આવશે. આ યુવાન કાર્યકરો જ્યારે વિવાહિત જીવન સ્વીકારશે ત્યારે તેમને ભરણ-પોષણની ચિંતા કરવાની રહેશે નહિ જેથી તેઓ તેમનો સંપૂર્ણ સમય અને શક્તિ કેન્દ્ર તરફથી સોંપવામા આવેલ કાર્યને અર્પણ કરી શકે.
૧૯૭૩ના મધ્યમાં જીવનવ્રતીઓના પહેલા જૂથની નામાવલિ તૈયાર થશે. તેમને તેમના કાર્યક્ષેત્રમાં મોકલતા પહેલાં છ માસ માટે પ્રારંભિક અને ઘનિષ્ઠ તાલીમ લેવાની રહેશે. ત્યારબાદ અવારનવાર યોગ્ય સમયાંતરે ટૂંકી તાલીમ આપવામાં આવશે.
કન્યાકુમારી શહેરની શરૂઆતમાં વિવેકાનંદપૂરમ્ નામનો ૭૫ એકર જમીનનો પ્લોટ આવેલો છે. તેના પર વિવેકાનંદ કેન્દ્રની નિવાસી તાલીમ શાળા અને મુખ્ય કચેરીનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. અન્ય તાલીમ સાથે યોગાસન અને ધ્યાનની પણ તાલીમ આપવામાં આવશે. કેમ્પસમાં ટૂંક સમયમાં જ એક સંશોધનાત્મક ગ્રંથાલય શરૂ કરવામાં આવશે. સાથે સાથે કાર્યકરોને વ્યાપક તાલીમ માટે સગવડતાઓ ઊભી કરવામાં આવશે.
પ્રાથમિક ગણતરી પ્રમાણે કેન્દ્રને પગભર કરવા માટે શરૂઆતનો અંદાજિત ખર્ચ રૂપિયા ત્રણેક કરોડની આસપાસ થવા સંભવ છે.
સમુદ્ર મધ્યે ખડક પર ભવ્ય વિવેકાનંદ શિલા-સ્મારકની રચના દરમ્યાન અમને જે જાહેર જનતાનો જે ઉત્સાહભર્યો સહકાર સાંપડ્યો છે તેવા જ સહકારની અપેક્ષા અમે હજુ પણ રાખીએ છીએ. અમને ખાતરી છે કે પ્રજાનો સહકારથી ભંડોળ તો એકઠું થશે જ, પણ એથી પણ વધુ મહત્વનું તો વિવેકાનંદ કેન્દ્રનાં આહ્વાહન પર શિક્ષિત અને બુદ્ધિશાળી યુવક અને યુવતીઓ માનવ સેવાનાં આ યજ્ઞમાં જોડાવવા આગળ આવશે.
(ક્રમશઃ)
- અનુવાદ : અનિલભાઈ આચાર્ય


સ્વામી વિવેકાનંદ ભારત પુનરાગમન

કલકત્તાનો છોકરો - 2


- મા. નિવેદિતાદીદી


"આ પવિત્ર ભૂમિના પર્વતશિખરો પર, તેની ગુફાઓના ઊંડાણમાં અને તેના પ્રચંડ વેગવાન જળસ્ત્રોતોના તટ પર જ સૌથી અદભુત વિચારોનો જન્મ થયો છે, જેના એક નાનકડા અંશની પણ વિદેશીઓએ આટલી પ્રશંસા કરી છે, અને જેને સર્વશ્રેષ્ઠ વિચારકોએ પણ અતુલનીય ગણાવ્યા છે. આ જ એ ભૂમિ છે, જ્યાં મારું જીવન વ્યતિત કરવાનું  સ્વપ્ન હું બાણપણથી જોતો હતો, અને જેમ આપ સૌ જાણો છો, મે વારંવાર અહીં રહેવાનો પ્રયાસ કર્યો છે. જોકે તેના માટેનો યોગ્ય સમય નહોતો તથા મારે મારું કાર્ય પૂર્ણ કરવાનું હતું. જેથી આ પવિત્ર સ્થાનથી મારે દૂર રહેવું પડ્યું, તેમ છતાં પણ, મને આશા છે કે મારા જીવનના અંતિમ દિવસો હું આ મહાન પર્વતના ખોળામાં વિતાવિશ કે જ્યાં ઋષિઓનો નિવાસ હતો, જ્યાં દર્શન શાસ્ત્રોનો જન્મ થયો હતો, મારા મિત્રો, મેં જે વિચાર્યું હતું, કે અહીં મને એ મૌન, એ અજ્ઞાતવાસ મળે, પરંતુ કદાચ એ શક્ય નહીં બને. તો પણ, હું હ્રદયથી પ્રાર્થના કરું છું અને લગભગ મારો એ વિશ્વાસ છે કે મારા અંતિમ દિવસો આ જ સ્થળે વિતશે."
પરંતુ અલ્મોડા, એ સ્થાન જેને સ્વામી વિવેકાનંદ પોતાનું અંતિમ ગંતવ્ય માનતા હતા-માં પણ ફરીથી તેમણે પોતાના સંદેશને જ કેન્દ્રમાં રાખ્યો કે આ ધરતીએ અને આપણા સનાતન ધર્મએ જ વિશ્વનું માર્ગદર્શન કરવાનું છે, તેઓ આગળ કહે છે-“ પવિત્ર ભૂમિના નિવાસીઓ, મારા દ્વારા પશ્ચિમ જગતમાં જે થોડું પણ કાર્ય થયું છે, તેના માટે આપના તરફથી મળેલ પ્રશંસા માટે મારા પ્રણામ. પરંતુ સાથોસાથ મારું મન એ વિશે વાત કરવા નથી ઈચ્છતું, ન પૂર્વની કે ન પશ્ચિમની. જેમ-જેમ આ પર્વતરાજના એક-એક શિખર મારી નજર સામે આવવા લાગ્યાં, તો મને અનુભવ થયો કે આટલા વર્ષોથી કાર્ય પ્રત્યેનો જે ઝુકાવ હતો, મારા મનમાં જે ઉથલ-પાથલ ચાલતી હતી,  એ શાંત થઈ ગઈ અને જે કામ થઈ ગયું છે અથવા તો બાકી છે, તેના વિશે વાત કરવાના બદલે મારું મન એ દિવ્ય વિષય તરફ વળ્યું જે હિમાલય આપણને સદૈવ શીખવે છે, એ એક જ વિષય જે આ સમસ્ત પરિવેશમાં ગુંજી રહ્યો છે. એ વિષય જેનો સ્વર હું આ નદીઓના પ્રવાહમાં અત્યારે પણ સાંભળી શકું છું- મોક્ષ! આ સંપૂર્ણ જીવન ભયથી ભરેલું છે, માત્ર મોક્ષ જ આપણને નિર્ભય બનાવે છે. હા, આ જ તો મોક્ષ ભૂમિ છે.
સમય મને આજ્ઞા નહીં આપે, ને આ અવસર પણ. યોગ્ય નથી કે વિષય પર સારી રીતે વાત કરી શકું. એટલા માટે મારે કહેવા સાથે વાત પૂરી કરવી પડશે કે હિમાલય મોક્ષનું પ્રતીક છે, અને આપણે માનવતાને જે મહાન શિક્ષણ આપી શકીએ છીએ, તે મોક્ષનું શિક્ષણ જ છે. જેમ આપણાં પૂર્વજો જીવનના ઉતરાર્ધમાં હિમાલય તરફ આકર્ષિત થતા હતા એજ રીતે પૃથ્વીના બધા ભાગોમાંથી મહાન આત્માઓ આ પર્વતરાજ તરફ આકર્ષિત થશે, પરંતુ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે વિભિન્ન સમુદાયો વચ્ચે થઈ રહેલા સંઘર્ષો ને મતભેદો ભૂલાવી દેવામાં આવશે, જ્યારે મારા સંપ્રદાય અને તમારા સંપ્રદાય વચ્ચેના વિવાદને સંપૂર્ણપણે મિટાવી દેવામાં આવશે, જ્યારે માનવતા એ સમજી લેશે કે પરમ ધર્મ માત્ર એક જ છે, અને એ છે પ્રત્યેક જીવમાં ઈશ્વરનો નિવાસ અને બાકીનું સઘળું માત્ર માયા. આવા ઉત્સાહી જીવો અહીં આવશે, જેઓ જાણતા હશે કે આ માત્ર નશ્વરતાથી ભરેલું નશ્વર વિશ્વ છે જેઓ જાણતા હશે કે ઇશ્વરની આરાધના સિવાય બાકીનું બધું નિરર્થક છે.
મિત્રો, એ તમારૂ દયાળુંપણું છે કે તમે હિમાલયમાં એક કેન્દ્રની સ્થાપનાના મારા વિચારનો ઉલ્લેખ કર્યો છે, અને શક્ય રીતે મેં એ સ્પષ્ટતા પણ કરી દીધી છે કે આવું શા માટે થવું જોઈએ, અને સૌથી વિશેષ તો એ વાત કે શા માટે હું વિશ્વ ધર્મનું શિક્ષણ આપનારા મહાન કેન્દ્રમાંના એક તરીકે આ સ્થાનની પસંદગી કરવા ઈચ્છું છું. આપણી જાતિની સર્વશ્રેષ્ઠ સ્મૃતિઓ આ પર્વતો સાથે જોડાયેલી છે. જો આ હિમાલયને ધાર્મિક ભારતના ઈતિહાસમાંથી હટાવી લેવામાં આવે, તો કદાચ તેમાં કંઈ જ બાકી રહેશે નહીં. માટે એક કેન્દ્ર અહીં હોવું જોઈએ. પરંતુ માત્ર પ્રવૃત્તિ માટે નહીં, પરંતુ તેના કરતા પણ આગળ, શાંતિ માટે, ધ્યાન માટે, મૌન માટે, અને મને આશા છે કે એક દિવસ તે જરૂર બનશે. હું એ પણ આશા રાખું છું કે આપ સૌને ફરીથી મળીશ અને ત્યારે ઘણી વાતો કરી શકીશ. આજ માટે હું ફરી એક વાર આપ સૌની કૃપા માટે આભાર માનું છું, અને હું તેને માત્ર એક વ્યક્તિ પ્રત્યે નહીં પરંતુ પોતાના ધર્મના એક પ્રતિનિધિ પ્રત્યે દર્શાવેલા કૃપાના રૂપમાં જોઉં છું. એ સદૈવ આપણા હ્રદયોમાં રહે, આપણે સૌ આટલા જ પવિત્ર બની રહીએ, જેટલા આપણે આ ક્ષણે છીએ. તથા આધ્યાત્મિકતા પ્રત્યે આપણા મનમાં એવો જ ઉત્સાહ રહે જેવા અત્યારે છે."
સ્વામી વિવેકાનંદના ભાષણો ને સંદેશનું આ પ્રકરણ પ્રેરણારૂપ છે કે કેવી રીતે એક વ્યક્તિએ ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ પોતાના ધ્યેય તરફ ધ્યાન કેન્દ્રિત કરી રાખવું જોઈએ. અહિ આપણને એ શીખ પણ મળે છે કે લોકોને પોતાના નિશ્ર્ચિંત માર્ગ પર પ્રેરિત કરવા માટે તેની સાથે કેવા પ્રકારે સંવાદ સાધવો જોઈએ, આત્મવિલોપનની શીખ પણ આપે છે, જ્યાં પોતાનો ઉલ્લેખ ‘કલકત્તાના અલ્હડ છોકરા’ તરીકે થાય છે, અને તે એ વાતની શીખ પણ આપે છે કે પોતાનું ઉત્તરદાયિત્વ પૂર્ણ કરતી વેળાએ પણ વ્યક્તિએ તે ભૂલવું જોઈએ નહીં કે તે સર્વવ્યાપી છે.



રાષ્ટ્ર-ધર્મ

-  ભગિની નિવેદિતા

ભારતવર્ષ પોતાની સંસ્કૃતિનું નવવિકાસ કરી રહ્યું છે. “જૂના પાયા પર નવું નિર્માણ” કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતીય ક્ષિતિજ પર નવિન આદર્શ, નવવિચાર અને કાર્યપદ્ધતિનો ઉદય થઈ રહ્યો છે. વિવિધતમ રીતિઓથી નવનવીન કાર્યક્ષેત્રોમાં પ્રગતિ કરવા માટે ભારત કટિબદ્ધ થઈ રહ્યું છે. આ પ્રકારના નવનિર્માણના યુગમાં નૈતિક સ્થિરતાનો ભંગ થવાની સંભાવના રહે છે. નૈતિક-શક્તિની પરમસત્તાને પ્રસ્થાપિત કરવી એ આ સંસ્કૃતિનો હંમેશા ઉદ્દેશ્ય અને પ્રયાસ રહ્યો છે. અને જ્યારે પ્રચંડ સંક્રમણનો, ક્રાંતિનો અવસર આવે, મોટી-મોટી ઘટનાઓ બને ઉથલ-પાથલ થાય, સમગ્ર સમાજ નીચેથી ઉપર સુધી આંદોલિત થઇ જાય છે, ત્યારે બધા જૂના બંધનો, જૂની સંસ્થાઓ, જૂના આચાર-વિચાર અને રૂઢિઓને તોડી મરોડીને ફેંકી દેવાની પ્રવૃત્તિ બળ પકડે છે, કારણ કે આ વાતાવરણના ફળ-સ્વરૂપ નૈતિકતા પ્રબળ બને છે, સમાજના બધા ભગ્નાવશેષ સપાટી પર તરવા લાગે છે. જૂના ઉપકરણો ત્યાગીને નવા લાવવાના પ્રયાસો થતા હોય છે. જે પ્રકારે પ્રાચીન સમયમાં અત્યાચારી રાજાના શરીરનું મંથન કરીને એમની ભુજાઓમાંથી પૃથુને પ્રકટ કરેલા, જેનાથી પ્રજાને વત્સ બનાવી પ્રજાનું દોહન કરેલ અર્થાત્ અભૂતપૂર્વ પ્રગતિ કરેલી. પશ્ચિમનો ‘સંસ્કૃતિ’ શબ્દ આપણે અહિંયા ‘ધર્મ’ નો પર્યાયવાચી છે. જ્યારે ઉદાત્ત ચારિત્ર્ય, નિષ્કંલક નૈતિકતાને જ રાષ્ટ્રના સામાજિક અથવા રાજનૈતિક કાર્યોની ચાવી સમજવામાં આવે, નાસ્તિક, અશ્રદ્ધાળું તથા દંભી મનુષ્યનું સાચું મૂલ્ય સંગણિત કરીને એમને સમાજ દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેકી દે અને સમાજની ઈચ્છા શક્તિ નિરંતર અસત્યનો ત્યાગ કરીને સત્ય-ભગવાનની ઉપાસના, ‘સત્યં શિવમ સુન્દરમ્’ ની આરાધના માટે પ્રવૃત્ત થાય ત્યારે રાષ્ટ્રએ પોતાના અતિતના ભૂતકાળની મહિમાને પ્રસ્થાપિત કરી એવું માનવામાં આવશે.

કોઈપણ રાષ્ટ્ર એવી બડાઈ ન મારી શકે કે તેણે ઉપયુક્ત બધા જ લક્ષણોને પૂર્ણત: પ્રગટ કરી લીધા છે. આ તો એવી સ્પર્ધા છે જેમાં યશ માત્ર સાપેક્ષપણે જ માપી શકાય છે. તોપણ નિર્વિવાદ તથ્ય છે જે સામાજિક તેમજ રાષ્ટ્રીય ગતિવિધિયોનું મૂલ્યાંકન જો કોઈ નિરપેક્ષ માનક બને તો તે નૈતિકતાનું માપ બની શકે છે. કોઈપણ રાષ્ટ્રની શ્રેષ્ઠતાનું અનુમાન સંપત્તિ, ધન-વૈભવ, ઉદ્યોગ તથા મોટા-મોટા પ્રકલ્પોના આધારે નહિં, પરંતુ રાષ્ટ્રના નૈતિક સ્તરના આધાર પર જ થઈ શકે છે.
અહી જે નૈતિકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ માત્ર સામાજિક પ્રથાની નૈતિકતા નથી. કોઈ જીર્ણશીર્ણ નિયમ કે રૂઢિને ટકાવી રાખવી એ કોઈ પ્રશંસાની વાત નથી. તે આપણી દૂર્બળતા પણ હોય શકે છે. સાચી નૈતિકતા ઈચ્છા-શક્તિ, પાવિત્ર્ય, ચરિત્ર, ત્યાગની અગ્નિ છે. કોઈ રાષ્ટ્રની કમાણીનું મૂલ્યાંકન આ સદગુણ ચતુષ્ય્યથી નિર્ધારિત થાય છે, ન કે માત્ર એમની બાહ્ય ચમક-દમક અને દંભથી. તો પણ અમુક વાતો તો સ્પષ્ટ છે, જે દેશોમાં લાંબા સમય સુધી ત્યાગના દર્શનનો, સંન્યાસ ધર્મનો ઉપદેશ કર્યો હોય, નિર્ધન-નિરાધારોને, નિરહંકારિતાને ભાઈચારાના, સાર્વજનિક સંપત્તિના તત્વજ્ઞાનનું પ્રતિપાદન કર્યું હોય, તે દેશ જ એકાએક બીજાના રાજનૈતિક વ્યાવસાયિક અથવા આર્થિક અથવા ત્રણેય પ્રકારે એક સાથે શોષણ કરતા દેખાય ત્યારે, આચાર અને વિચારના આ વિષવાદની આલોચના કરી નિર્ણય પ્રકટ કરવો ઉચિત અને અનિવાર્ય બની જાય છે.
જીવનમાં જ્યારે મોહ અને પ્રલોભનની ક્ષણ આવે છે ત્યારે આ રિપુગણોના આક્રમણોથી બચવા માટે તર્ક સંગત તથા સત્ય સિદ્ધાંત કે નીતિતત્વ માત્ર પર્યાપ્ત શસ્ત્ર નથી. તત્વની સત્યાસત્યતા ઉપરાંત, વધારે મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે મનુષ્યની પ્રકૃતિ એ તત્વથી કેટલી સંયુક્ત થઈ છે, તત્વ તેમના જીવનમાં કેટલું ઉતર્યું છે, એ તત્વ પ્રત્યે મનુષ્યનો આંતરિક અનુરાગ કેટલો છે, તેણે કેટલું આત્મસાત કર્યું છે. ધર્મ જો રાષ્ટ્રના રોમ-રોમમાં ભર્યો ન હોય, લોહીમાં એકરસ ન થયો હોય તો સમય આવ્યે સ્વહિત માટે તે ધર્મને છોડી શકે છે. આ જ ધર્મનો પરાજય છે. ઈતિહાસની પ્રગતિને અવરોધતું દુર્ભાગ્યપૂર્ણ અવરોધક છે.
આ અવસર પર વિવિધ ધર્મોની પ્રજ્ઞા અથવા બુદ્ધિની પરિસીમાનો પ્રશ્ન ઊભો થાય છે. સ્પષ્ટત: ધર્મમત તથા નીતિશાસ્ત્રની તે આચાર સંહિતા, જેને આપણી સમગ્ર પ્રજ્ઞા આનાકાની કર્યા વગર સ્વીકારે, આપણી બુદ્ધિને જે ઠીક લાગે, તે જ આચાર-ધર્મ આપણને નિયંત્રણ, સંયમમાં રાખીને આપણને મોહ અને પ્રલોભનથી બચાવી શકે છે. આનાથી વિરુદ્ધ જે ધર્મ આચાર-સંહિતા આપણને દાદીમાની કથાઓની સમાન અવિશ્વનીય અને અલૌકિક લાગે તે આપણા આચાર-વિચારોનું નિયમન ક્યારેય કરી શકશે નહિ. ઈસાઈ ધર્મમત આ બૈદ્ધિક વ્યાખ્યા પર ટકી ન શક્યું, આમા જ ઓગણીસમી સદીમાં તેના હ્રાસનું રહસ્ય છે. વિજ્ઞાને વિવિધ પ્રકારના યાંત્રિક સંશોધનો દ્વારા ઈસાઈ રાષ્ટ્રોની સામે એક અભિનવ સંસારનું નિર્માણ તો કરી દીધું, પરંતુ તે જ વિજ્ઞાનની શિક્ષાએ જે બુદ્ધિ પ્રાભાષ્ય ઉત્પન્ન કર્યું જેના કારણે ઈસાઈ-ધર્મ-મત, જે થોડા સમય પહેલા વિશ્વ માટે એક માર્ગદર્શક તથા ઉન્નતકારી બળ હતું. હવે એક અવૈજ્ઞાનિક, ભ્રામક ધારણાઓનો ઢગ માત્ર બનીને તિરસ્કૃત થઈ ગયુ  છે. પરિણામ સ્વરૂપ ભૂતકાળમાં ઈસાઈ સમાજને ઈસાઈ ધર્મગ્રંથ, ઉપાસના વગેરેના માધ્યમથી જે આચારના સંસ્કાર મળ્યા હતા, તેનાથી આધુનિક ઈસાઈ વંચિત થઈ ગયા. આ પ્રકારે ઈસાઈ ધર્મથી ચ્યુત ઈસાઈનું સમસ્ત સંસારને લૂંટવાવાળો સશસ્ત્ર ડાકુ બનાવવાનું સ્વાભાવિક જ છે.
ઈસાઈ ધર્મ-મત વિજ્ઞાનને સમાવિષ્ટ ન કરી પચાવી ન શક્યું. શું હિન્દુધર્મ અર્વાચિન સત્યતાને આત્મસાત્ કરવાની ક્ષમતા રાખે છે ? આપણે વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે હા.. ક્ષમતા રાખે છે. કારણ - હિન્દુધર્મની વિવિધ પ્રથાઓ રૂઢિઓ અને આચારોની પાછળ વેદાન્તના સાર્વભૌમ દર્શનનો હિમાલય ઊભો છે. આ દર્શન માટે ધાર્મિક સંસ્કાર અથવા અનુષ્ઠાન, સામાજિક તંત્ર, વૈજ્ઞાનિક શોધ-ખોળ અથવા કોઈપણ નવ-વિચાર સમાનરૂપથી પ્રયોગાર્થ ગ્રાહ્ય હશે અને આ વેદાન્તમાં પણ શંકરાચાર્યનું અદ્વૈત દર્શન, હિમાલયના અનેક શિખરોમાંથી ઉપર ઊઠીને ચમકતું ગૌરી-શંકર સમાન સંસારમાં સર્વોચ્ય છે.
હવે આપણે એક શ્રેષ્ઠ લૌકિક જીવન પ્રકટ કરવા જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં હિન્દુધર્મના એક નવ-વિકસિત રૂપને લઈને હિન્દુરાષ્ટ્ર ઊભું થશે. સનાતની અને આર્ય સમાજ કર્મકાંડોની પાછળ પડવાની અપેક્ષાએ આપણે સાંઘીક, સામુદાયિક જીવનના પાઠ ગ્રહણ કરીએ. વિવિધ પૂજા-વિધિઓ અને સંગઠનની ઉપાસના માટે કટિબધ્ધ થઈએ. “નવીન પર્વ કે લિયે, નવીન પ્રાણ ચાહિએ” નવયુગ માટે નવા જીવનવ્રત આધાર હલી જશે? ક્યારેય નહીં! શું આ નવીન વ્રત, નવી દીક્ષા ! શું  આ નવીન વ્રતો  તથા નવીન આદર્શોના કારણે હિન્દુધર્મનો આધાર હલી જશે? ક્યારેય નહીં! સહસ્ત્રો  વર્ષો પૂર્વે ઋષિયોએ ઘોષણા કરી હતી કે “एकं सत विप्रा बहुधा वदन्ति” અર્થાત્ મૂળ સત્ તત્વ એક જ છે, પ્રબુદ્ધ લોકો તેને વિવિધ નામોથી સંબોધિત કરે છે.
સાંજે કોઈ મંદિરમાં જઈને ડંકા વગાડવાની જગ્યાએ જો આપણે કોઈ મેદાનમાં એકત્રિત થઈને ભારતમાતાની પ્રાર્થના અનેે રાષ્ટ્ર-ચિંતન કરીએ તો શું આપત્તિ છે. યજ્ઞકુંડ અને હોમ-હવનશાળાની જગ્યાએ વિશ્વવિદ્યાલય, પ્રયોગશાળા અને કારખાનાઓ બનાવીયે, ભૂદેવો-બ્રાહ્મણોના સેવક બનવાની જગ્યાએ ભારતમાતાના કાર્યકર્તા કહેવાઈએ. મંદિર અથવા પૂજાગૃહોમાં કલાકો સુધી નાક પકડીને અને માળા જપતા બેસી રહેવાની જગ્યાએ સમાજના અભાવગ્રસ્ત લોકોની પાસે જઈને એમને ભોજન, શિક્ષા, ચિકિત્સા વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવીએ. ‘सर्व खल्विदं ब्रह्म’ જો સત્ય હોય તો બધા માર્ગ એક જ પરમાત્માની તરફ લઈ જશે. आकाशात्पतिंत तोयं यथा गच्छति सागरम् | सर्वदेव नमस्कारं केशवं प्रतिगच्छति | જે પ્રકારે આકાશથી પડતું જળ અન્તત: સમુદ્રમાં જ જાય છે. એવી જ રીતે કોઈપણ દેવતાને સમર્પિત પ્રણામ, પરમાત્માને જ પહોચેં છે. ધ્યેય માટે જીવનભર સંઘર્ષ કરવો નિત્ય પ્રાર્થનાની સમાન જ શ્રેષ્ઠ ઉપાસના છે. શ્રમના કારણે નિકળતા પરસેવાના બિંદુ ગંગાજળની સમાન જ પવિત્ર અને પૂજ્ય છે. ઉપવાસ-વ્રતની જગ્યાએ અખંડ સ્વાધ્યાય વ્રત વધારે મૂલ્યવાન છે. પરસ્પર સેવા, સહકાર્ય, બંધુત્વભાવ જ સર્વશ્રેષ્ઠ પૂજા છે. કાર્યમાં તલ્લીનતા, એકાગ્રતા જ સાધન છે અને પરમાત્મત્વ અદ્વૈત જ સાધ્ય છે.
રાષ્ટ્રની વિપત્તિઓના આ પ્રહરમાં કાર્ય કરવા માટે  પ્રસ્તુત આપણા કાર્યકર્તાઓને જોઈએ કે આપણું સેવાનું અસ્ત્ર સદા સિદ્ધ રાખીએ, સેવાકાર્ય, પરિશ્રમ કરતાં સમયે શરીર, મન, બુદ્ધિનું સામજસ્ય થાય, સ્નાયુઓ અને પેશિયો મજબૂત બને છે. આપણી સમગ્ર શક્તિઓને કાર્ય પર કેન્દ્રિત કરીએ. સ્વયં સ્વીકૃત કાર્યનું જ રાત-દિવસ ચિંતન કરીએ નિષ્કલંક ચરિત્ર જ આપણું માર્ગદર્શક હોય અને નિર્દોષ સેવા જ આપણું લક્ષ્ય, આપણું સ્વપ્ન આ પ્રકારે જો આપણે સેવા કરીએ તો ચોક્કસપણે જ એક દિવસ આપણા અન્ત:કરણમાં જ્ઞાન-પ્રભાનો ઉદય થશે અને ભારતમાતાના સત્પુત્રોની માળામાં આ નવયુગ કર્મવીર કાર્યકર્તા, ગૃહસ્થ, સન્યાસીઓ અને સમાજ સેવાના વીર-વ્રતિઓના રૂપમાં અનેક મોતીઓ પરોવતા જશે.
                          - સૌજન્ય : પથ ઔર પાથેય


જીવન ઘડતર

- પ્રા.સ્મિતાબેન ઝાલા


ઈતિહાસના પાનામાં શૂન્યમાંથી સર્જન કરનાર અનેક સફળ વ્યક્તિના જીવનનું ચરિત્ર વાંચવા મળે. સામાન્ય કામ કરનાર વ્યક્તિ સફળ ઉદ્યોગપતિ - વેપારી તરીકે પ્રસિદ્ધિ  પામે. આજે આપણે આપણા પરિવારમાં પાંગરી રહેલ સ્વાવલંબી યુવાનની વાત કરવી છે.
કુટુંબની આર્થિક મુશ્કેલી જોઈ અને અનુભવી રહેલ પાંચમાં ધોરણમાં ભણતા 10 વર્ષના બાળકે માતા-પિતાને મદદરૂપ બનવા કામ કરવાનું, કમાવવાનું શરૂ કર્યું. રાજકોટમાં ચાંદી કામમાં પગના વીંછીયા અને પાયલ પર મીના કામ કરવાનું શરૂ કર્યુ. કામના પ્રારંભે અડધા દિવસના 600 અને આખા દિવસના 1200 માસિક પગારે કામની શરૂઆત કરી. માતા- પિતા પણ અન્ય મજૂરી કામ કરે પણ આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો ન હતો.
આ સમયગાળા દરમ્યાન ભગવતી પરા (રાજકોટ) વિસ્તારના કેટલાક મિત્રો રામકૃષ્ણ આશ્રમમાં ચાલતી વિવિધ પ્રવૃતિમાં ભાગ લેવા જતા તેની સાથે ચિરાગ પણ જોડાયો. રામકૃષ્ણ આશ્રમમાં યુવા વ્યક્તિત્વના વિકાસ માટે વર્ષ દરમ્યાન ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. તેમાંથી એક છે વિવેકાનંદ સર્વિસ કોર્પ જેમાં યુવાનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવતી હતી.
ચિરાગને દર રવિવારે આશ્રમમાં નવી વાત, નવો વિચાર, નવું વાતાવરણ, નવા મિત્રોને મળવાનો મોકો મળ્યો. નવા બધા મિત્રો કંઈને કંઈ અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ તે 10 વર્ષની ઉંમરથી અભ્યાસ છોડી કામ કરતો હતો, આ બાળકે નાની ઉંમરમાં કંઈ કેટલીય મુશ્કેલીઓ અનુભવી અને ભોગવી હતી. ત્યારે નવો ઉત્સાહ, ઉમંગ અને દિશા- માર્ગદર્શન મળી રહે તેવા રામકૃષ્ણ આશ્રમના સ્વામીજી, કાર્યકર્તાઓનો સકારાત્મક સહયોગ અને તાલીમ મળવા લાગી. છોડને ઉછેરવા માટે પાણી, ખાતર, સારૂં વાતાવરણ મળે તો ઝડપથી વૃધ્ધિ થાય. તેમ ચિરાગને યોગ્ય માર્ગદર્શન મળતા પાંચ ધોરણથી અધૂરુ મુકેલ ભણતર ફરીથી શરૂ થયું. આશ્રમમાં ધોરણ 10 માટે નિ:શુલ્ક ક્લાસમાં અભ્યાસ શરૂ કર્યો. આખો દિવસ કામ કરીને સાંજે આશ્રમમાં અભ્યાસ વર્ગમાં આવે. આમ, ધોરણ 10 પાસ થવાની તેની લગની રંગ લાવી ત્રણ પ્રયત્ન ના અંતે સફળતા મળી.
વિવેકાનંદ સર્વિસ કોર્પ માંથી આર્મીમાં કે પોલીસમાં જોડાવાનો વિચાર આવ્યો તે માટેની મહેનત શરૂ કરી. પરીક્ષા પણ આપી પરંતુ ઓછા અભ્યાસને કારણે એ સ્વપ્ન અધૂરું રહ્યું. આ સમય દરમિયાન વિવેકાનંદ કેન્દ્રની યોગ શિબિરમાં પણ આશ્રમ દ્વારા જ જોડાયા. આજે વિવેકાનંદ કેન્દ્ર-શાખા રાજકોટ સાથે કાર્યકર્તા તરીકે જોડાયેલા છે.
ધોરણ 10ની પરીક્ષાની તૈયારી માટે 1 મહિનો ચાંદી કામ છોડીને વ્યવસાયિક કાર્યમાં જોડાયા. પરીક્ષા પુરી થયા પછી આર્થિક ઉપાર્જન માટે રઝળપાટ શરૂ થયો. ઓછી આવકને વધારવા માટે શું કરવું તે વિશે પોતે જ મનોમંથન કર્યું. કામ બદલાવ્યું પરંતુ અંતે એમ વિચાર્યું કે જે કામ 10 વર્ષ સુધી કર્યું છે. તાલીમ મેળવી છે તે ચાંદી કામ ફરી કરવાનું નક્કી કર્યું, એક કુટુંબની મદદથી ચાંદી કામમાં ફરી પદાર્પણ કર્યું હવે પોતે જ કામ લેવાનું શરૂ કર્યું અને ઘરમાંથી બે ભાઈ અને માતા પણ તે કામમાં મદદ રૂપ બન્યા. આજે ચાંદીકામ ઘરે લાવે છે. ચિરાગના સફાઈદાર કામને કારણે તેને કામ પણ મળે છે. તેથી આવકમાં પણ વધારો થયો છે. તેમના માતાએ આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. તેઓ ચિરાગને કહેતા કે કોઈને કંઈ કામ તો કરવું જ પડશે, સતત મહેનત અને પ્રયત્નથી જ આગળ વધી શકાય.
ચિરાગનું કહેવાનું છે કે, રામકૃષ્ણ આશ્રમમાંથી મળેલ તાલીમ દ્વારા જ મજૂરીથી કંઈક અલગ એને આગળ વધવાનું સાહસ આવ્યું. જીવનની નવી દિશા નવા સોપાન માટે રામકૃષ્ણ મિશન અને વિવેકાનંદ કેન્દ્રનો અનન્ય સહયોગ સાંપડ્યો છે. સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો તેમજ એકનાથજી રાનડેનો શિલા સ્મારક બનાવવાનો સંકલ્પ, તેઓની કાર્ય પદ્ધતિ તેમજ શિલા સ્મારકનું નિર્માણ જીવનની પ્રેરણા માટેના મહત્વના પાઠ બની રહ્યાં છે. ક્યારેક નિરાશા આવી તો પણ તેની અસર કામ પર પડવા દીધી નથી. સ્વામી વિવેકાનંદ પ્રેરણાનું મહત્વનું સ્ત્રોત બન્યાં છે. સતત સંઘર્ષ અને મજબુત મનોબળ માટેની ચેતનાનો સંચાર આશ્રમ અને કેન્દ્રના સંર્પકથી જ થયો છે.
સ્વામી વિવેકાનંદ જીવનના પાઠ આમ, ચિરાગ મોહનભાઈ- ઈન્દુબેન રોજાસરાની સાહસિકતા, શ્રમ અને અભ્યાસની ઈચ્છા પાછળનું મહત્વનું પ્રેરણા સ્ત્રોત- મહત્વનું તત્ત્વ સ્વામીજી રહ્યા છે.
પોતાનું જીવન અને સકારાત્મક ભાવનાની સંવેદના આ સમયનાં અદકેરું મહત્વ ધરાવે છે. કુટુંબની આર્થિક સ્થિતિના પરિવર્તન માટેનો શ્રમ અને સ્વાવલંબન આજના યુવાનો માટે મહત્વનું દ્રષ્ટાંત બની રહે તેમ છે.


પોતાના પગ ઉપર ઉભા રહેવાનો આનંદ અનોખો છે.


- શૈલેષ સગપરિયા


બેંગ્લોરમાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં દેશભરના સીઇઓ માટે “ Education System in India” વિષય પરનો સેમિનાર હતો. એક સામાન્ય કપડાં પહેરેલો કોલેજીયન યુવાન આ સેમિનારમાં ભાગ લેવા માટે આવ્યો. ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે એમને અટકાવ્યો અને કહ્યું, “ બેટા, આ સેમિનાર સીઇઓ માટેનો છે, કોલેજના વિદ્યાર્થીઓ માટેનો નહીં.” યુવાને બીજી દલીલ કરવાને બદલે ખીસામાંથી મોબાઇલ કાઢીને કોઇને કોલ કર્યો અને થોડી જ ક્ષણોમાં સેમિનારના આયોજકો ખુદ દરવાજા પર આ યુવાનને સત્કારવા માટે દોડી આવ્યા. આ છોકરાને આદર સાથે સેમિનાર હોલમાં લઇ જતા હતા ત્યારે સીક્યુરિટી ગાર્ડને આશ્વર્ય થયું. આયોજકોએ આ છોકરાનો પરિચય કરાવતા કહ્યુ, “ તમે જેને અંદર આવતા અટકાવતા હતા એ આજના સેમિનારના વક્તા છે અને દેશભરની કંપનીના સીઇઓ એમને સાંભળવા માટે આવ્યા છે.”
આ યુવાનનું નામ છે ‘સુહાસ ગોપીનાથ’ અને એ દુનિયાનો સૌથી નાની ઉંમરનો સીઇઓ છે. મધ્યમવર્ગના પરિવારમાં જન્મેલો બેંગ્લોરનો જ રહેવાસી છે. શાળાના અભ્યાસ દરમ્યાન જ એને કમ્પ્યુટરનો ચસકો લાગ્યો. સામાન્ય આર્થિક સ્થિતિને કારણે ઘરમાં કમ્પ્યુટર લેવું શક્ય નહોતું એટલે એ એક સાયબરકાફેમાં જઇને બેસતો. પહેલા જ દિવસે ઇન્ટરનેટના ઉપયોગથી પોતાનું ઇમેઇલ બનાવવાનું શીખ્યું અને બીજા દિવસે શાળાએ આવીને બ્લેકબોર્ડમાં પોતાના ઇમેઇલ આઇડીની સાથે સાથે પાસવર્ડ પણ લખી નાખ્યો. કોઇ મિત્રએ કહ્યુંંંંં કે તે પાસવર્ડ લખી નાખ્યો તો હવે કોઇપણ તારું ઇમેઇલ ચેક કરી શકે. આ વાત સાંભળીને એ ભોંઠો પડી ગયો અને કેવો મોટો મૂરખ છે એ એને ખબર પડી. પછી ધીમે ધીમે કમ્પ્યુટર પરની બુક્સ વાંચીને બધુ શીખતો ગયો. ઘરેથી જેટલા પોકેટમની મળે તે બધા જ સાઇબર કાફેમાં જ વાપરતો એણે તો હજુ વધુ સમય સાયબરકાફેમાં વિતાવવાની ઇચ્છા હતી પણ એ માટેના પૈસા નહોતા. એણે એક રસ્તો શોધી કાઢયો એ જે સાઇબર કાફેમાં જતો એ બપોરે 1 થી 4 બંધ રહેતું, સુહાસે કાફેના માલિકને મળીને આ 3 કલાક પોતે કોઇપણ જાતના પગાર વગર આ સાઇબરકાફેનું ધ્યાન રાખશે અને બદલામાં એને મફતમાં એ સમય દરમ્યાન ઇન્ટરનેટનો ઉપયોગ કરવા દેવાનો એવી દરખાસ્ત મુકી જે માલીક દ્વારા સ્વીકારી લેવામાં આવી.
સુહાસ આ 3 કલાક દરમ્યાન કંઇકને કંઇક નવીન શીખતો રહેતો અને 14 વર્ષની ઉંમરે એણે www.coolhindustan.com નામની વેબસાઇટ બનાવી. માત્ર ત્રણ વર્ષ બાદ એટલે કે 17 વર્ષની ઉંમરે સુહાસ એમણે સ્થાપેલી ‘ગ્લોબલ ઇન્સ’ નામની કંપનીનો સીઇઓ બની ગયો. આ કંપની ઇન્ફર્મેશન ટેકનોલોજીને લગતી વિવિધ સેવાઓ પુરી પાડવાનું કામ કરે છે. વિશ્વના જુદા જુદા દેશોમાં 12 થી વધુ ઓફિસોમાં 400થી વધુ કર્મચારીઓ કામ કરે છે. જેને સફળતાના આકાશમાં ઉડવું જ છે એને કોઇ મર્યાદાઓ ક્યારેય રોકી શકતી નથી. સપના જોવાની અને એને સાર્થક કરવાની કોઇ ઉંંમર નથી હોતી !
એક તરફ સુહાસ જેવા 17 વર્ષના તરુણો આર્થિક રીતે પોતાના જ પગ પર ઉભા રહી શકે છે અને એથી આગળ વધીને વાત કરીએ તો બીજા કેટલાયને આર્થિક રીતે પગભર પણ કરે છે. બીજી બાજુ એનાથી બમણી ઉંમરના યુવાનો હજુ પણ પિતાના પૈસા પર જ નિર્વાહ કરતા હોય એવું જોવા મળે છે. આર્થિક આઝાદીનો મારા મતે અર્થ એટલો જ છે કે આર્થિક રીતે તમારી જરૂરિયાતો અને ઇચ્છાઓ પુરી કરવા માટે તમારે બીજા પર આધાર ન રાખવો પડે. આઝાદી ક્યારેય સામે ચાલીને ન મળે. આઝાદી મેળવવા માટે પ્રયાસ કરવો પડે. આર્થિક આઝાદી માટે પણ યોગ્ય પ્રયાસ કરવો પડે. પશ્ચિમના દેશોની વિશેષતા જ એ છે કે ત્યાં લગભગ દરેક યુવાન પોતાના પગ પર જ ઉભો રહે છે. મા-બાપ જ દિકરાને મદદ કરીને પાંગળો બનાવવાના બદલે અભ્યાસકાળ દરમ્યાન નાના-મોટા કામ કરીને ખુદનો ખર્ચો ખુદે જ ઉઠાવવાની પ્રેરણા આપે છે. મોટા-મોટા ઉદ્યોગપતિઓના સંતાનો પણ પોતાનો ખર્ચો કાઢવા માટે કંઇકને કંઇક કામ કરતા હોય છે. સામાન્યમાં સામાન્ય કામ કરવામાં પણ એમને નાનપ નથી અનુભવાતી કારણ કે અબજોપતિ પિતા પાસે હાથ લાંબો કરવાને બદલે સ્વમાનથી કામ કરીને જરૂરિયાતો પુરી કરવામાં એ ગૌરવ અનુભવે છે. જેના ઘરે ધોમધોમ સાહ્યબી હોય એવા નબીરાઓ રેસ્ટોરન્ટમાં બહુ આનંદ સાથે કામ કરે છે.
ગાંધીજી જ્યારે વિલાયતમાં ભણવા માટે ગયા ત્યારે પોતાના વાળ જાતે કાપવાનો અને એવા બીજા ઘણા પ્રયોગો કર્યા હતા જે પરોક્ષ રીતે આર્થિક સ્વતંત્રતાનો જ પાઠ હતો. સરદાર પટેલ પણ એમના પિતા ઝવેરભાઇ પટેલની કમાણી પર નિર્ભર નથી રહ્યા. કાંડાની કમાણીથી એમણે લંડનમાં જઇને બેરીસ્ટરનો અભ્યાસ કર્યો હતો. આજના સમયમાં આપણે ત્યાં ધીમે ધીમે આ પ્રકારની વિચારસરણી પ્રસરી રહી છે પણ એનું પ્રમાણ ખૂબ ઓછું છે. ભૂજમાં રહેતો જીજ્ઞેશ ગૌસ્વામી નામનો યુવક અત્યારે યુપીએસસીની તૈયારી કરે છે. હું લગભગ છેલ્લા 5 વર્ષથી એની સાથે સંપર્કમાં છું. આ છોકરાના પિતા 2001માં ભૂકંપ વખતે અવસાન પામ્યા હતા. પરિવારમાં માત્ર 2 જ સભ્યો જીજ્ઞેશ અને એના માતા. જીજ્ઞેશ યુપીએસસીની તૈયારી કરવા માટે દિલ્હી ગયો હતો. એમની સાથે આત્મીય સંબંધ હોવાથી મેં એક વખત એની આર્થિક સ્થિતિ વિષે પુછ્યુ. એમણે મને કહ્યું, ‘બહુ ચિંતા નથી કારણ કે પપ્પાના અવસાન વખતે થોડી રકમ મળી હતી અને હું પણ અભ્યાસની સાથે સાથે પાર્ટટાઇમ નોકરી કરતો હતો. આથી મેં પોતે પણ સારી એવી બચત કરી છે. આ બચતમાંથી જ અત્યારે તો ખર્ચો કરુ છું એટલે બીજી કોઇ ચિંતા નથી.” હું માનું છું કે જીજ્ઞેશ એના પિતાની ગેરહાજરીમાં પણ આર્થિક આઝાદી માણે છે અને બીજી બાજુ આપણે ત્યાં BPL (બાપના પૈસે લીલાલહેર) કરવા વાળા યુવાનોની પણ એક મોટી જમાત છે. પૈસા વાપરવા છે, પણ કમાવા નથી. મોબાઇલ-ફોન અને બાઇક સારાંમાં સારાં લેવા છે પણ ખીસ્સુ પપ્પાનું ખાલી કરવાનું છે.
આર્થિક આઝાદી યુવાનોને પાંખ આપે છે જેનાથી એ વધુ ઉંચે અને ઉંચે ઉડી શકે બસ શરત માત્ર એટલી છે કે પાંખ ખુદની હોવી જોઇએ, બીજાની નહી.



સ્વાવલંબી બનો


- સ્વામી વિવેકાનંદ


શિષ્ય આજે સવારે મઠમાં આવ્યો છે. સ્વામીજીના ચરણોમાં વંદન કરી ઊભા થતાં જ સ્વામીજીએ કહ્યું, “નોકરી જ કરતાં રહેવાથી શું થશે? કોઈ વેપાર કેમ નથી કરતો?” શિષ્ય  એ સમયે એક જગ્યાએ એક ગૃહશિક્ષકનું કામ કરતો હતો, ત્યારે તેના પર પરિવારનો બોજો ન હતો. આનંદથી દિવસો વીતતા હતાં. શિક્ષકના કાર્યની બાબતે શિષ્યે પૂછ્યું ત્યારે સ્વામીજીએ કહ્યું, “બહુ દિવસો સુધી માસ્તરી કરવાથી બુધ્ધિ બગડી જાય છે. દિવસ-રાત છોકરાઓની વચ્ચે રહીને ધીરે-ધીરે જડતા આવી જાય છે; એટેલે આગળ હવે બહુ માસ્તરી ન કર.”
શિષ્ય: તો શું કરું?
સ્વામીજી:કેમ? જો તારે ગૃહસ્થી કરવી છે અને જો ધન કમાવાની ઈચ્છા છે, તો જા અમેરિકા ચાલ્યો જા. હું વેપાર કરવાનો ઉપાય બતાવી દઈશ. પાંચ વર્ષમાં કેટલું ધન કમાઈ લઈશ.
શિષ્ય: ક્યો વેપાર કરું? અને તે માટે ધન ક્યાંથી આવશે?
સ્વામીજી: પાગલની જેમ શું બકે છે? તારી અંદર અદમ્ય શક્તિ છે. તું તો ‘હું કંઈ નથી’ વિચારી વિચારી વીર્યહીન બનતો જાય છે. તું જ કેમ?- આખી જાતિ એવી બની ગઈ છે. જા એક વાર ફરી આવ; જોશે કે ભારત બહાર લોકોનો જીવન-પ્રવાહ કેવા આનંદથી, કેવી શાલિનતાથી, પ્રબળ વેગની સાથે વહ્યો જઈ રહ્યો છે. અને તમે લોકો શું કરી રહ્યાં છો? આટલી વિદ્યા શીખીને બીજાનાં દરવાજા પર ‘નોકરી દો’ કહીને ચીસો પાડી રહ્યા છો. બીજાના ઠોકરો ખાતા-ગુલામી કરીને પણ તમે શું હવે મનુષ્ય રહ્યા છો? તમારાં લોકોનું મૂલ્ય એક ફુટી કોડી પણ નથી. આવી સુજલા સુફલા ભૂમિમાં, જ્યાં અન્ય દેશો કરતાં કરોડ ગણું વધારે ધન-ધાન્ય પેદા થઈ રહ્યું છે, જન્મ લઈને પણ તમારાં લોકોનાં પેટમાં અન્ન નથી. શરીર પર વસ્ત્ર નથી! જે દેશના ધન-ધાન્યએ પૃથ્વીના બાકી બધા દેશોમાં સભ્યતાનો વિસ્તાર કર્યો છે, તે જે અન્નપુર્ણાના દેશમાં તમારા લોકોની આવી દુર્દશા! તમે લોકો ધૃણાસ્પદ કૂતરાથી પણ ખરાબ થઈ રહ્યા ગયા છો! ને પાછા તમારાં વેદ-વેદાંતના બણગાં ફુંકો છો, જે રાષ્ટ્ર જરૂરી અન્ન-વસ્ત્રનો પણ પ્રબંધ નથી કરી શકતું અને બીજાનાં મ્હોં સામે તાકીને જ જીવન પસાર કરી રહ્યું છે, તે રાષ્ટ્રનું  ગર્વ ! ધર્મ –કર્મને તિલાંજલી આપીને પહેલાં જીવન સંગ્રામમાં કુદી પડો.ભારતમાં કેટલી ચીજો ઉત્પન્ન થાય છે. વિદેશી લોકો તે જ કાચા માલ દ્વારા ‘સોનું’ પેદા કરી રહ્યાં છે. અને તમે લોકો ભારવાહક ગધેડાની જેમ તેમનો માલ વહોરતા મરી રહ્યાં છો. ભારતમાં જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે, તેને જ લઈ જઈ પોતાની બુધ્ધિથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવી ધનવાન બની ગયાં; અને તમે લોકો! પોતાની બુદ્ધિ તિજોરીમાં બંધ કરી ઘરનું ધન બીજાને દઈને ‘હા અન્ન’ કરીને ભટકી રહ્યા છો!
શિષ્ય: અન્ન સમસ્યા કેવી રીતે હલ થઈ શકે, મહારાજ?
સ્વામીજી: ઉપાય તમારા જ હાથોમાં છે, આંખો પર પટ્ટી બાંધીને કહી રહ્યાં છો, ‘હું આંધળો છું, કંઈ જોઈ નથી શકતો!’ આંખ પરથી પટ્ટી દૂર કરી દો, જોશો-મધ્યાહનનાં સૂર્યનાં કિરણોથી જગત પ્રકાશિત થઈ રહ્યું છે. રૂપિયા ભેગા નથી કરી  શકતો તો જહાજનો મજુર થઈ વિદેશ ચાલ્યો જા. દેશી વસ્ત્ર, ગમછાં, સૂપ, સાવરણી માથા પર રાખીને અમેરિકા અને યુરોપની ગલીઓ અને સડકો પર ફરી ફરીને વેંચ, જોઈશ કે ભારતમાં ઉત્પન્ન થતી  વસ્તુઓનું આજ પણ ત્યાં કેટલું મૂલ્ય છે. હુગલી જિલ્લાનાં કેટલાક મુસલમાન અમેરિકામાં આવો જ વેપાર કરી ધનવાન બની ગયાં છે. શું તમારી વિદ્યા-બુદ્ધિ તેનાથી પણ ઓછી છે? જો, આ દેશમાં જે બનારસી સાડી બને છે, તેના જેવું ઉત્તમ કાપડ પૃથ્વી પર બીજે ક્યાંય નથી બનતું. આ કપડાને લઈ અમેરિકા ચાલ્યો જા. એ દેશમાં કેટલા રૂપિયા આવે છે!   
શિષ્ય: મહારાજ, તે લોકો શું બનારસી સાડીનું ગાઉન પહેરશે? સાંભળ્યું છે, ત્યાંની સ્ત્રીઓ રંગ-બેરંગી કપડાં પહેરતી નથી.
સ્વામીજી: લેશે કે નહીં, તે હું જોઈશ. હિંમત કરીને જા તો. તે દેશમાં મારા અનેક મિત્રો છે, હું તેમને તારો પરિચય કરાવી દઇશ. શરૂમાં કહી- સાંભળીને તેઓમાં આ ચીજનો પ્રચાર કરાવી દઈશ. પછી જો, કેટલાં લોકો તેમની નકલ કરે છે, પછી તો તેમની માંગને પૂરી કરવા તું પોતાને અસમર્થ જોઈશ.
શિષ્ય: પણ વેપાર કરવા માટે રૂપિયા ક્યાંથી આવશે?
સ્વામીજી:હું કોઈને કોઈ રીતે તારું કામ શરૂ કરાવી દઈશ. પરંતુ તે પછી તારે પોતાના જ પ્રયત્ન પર નિર્ભર રહેવું પડશે. हतो वा प्राप्स्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् –આ પ્રયત્નમાં જો તું મરી પણ જાય તો ખરાબ નથી. તને જોઈને બીજી દસ વ્યક્તિઓ આગળ આવશે.અને જો સફળતા મળી ગઈ તો પછી સુખ પૂર્વક જીવન વ્યતીત કરીશ.
શિષ્ય: પરંતુ મહારાજ, હિંમત નથી થતી.
સ્વામીજી:એટલે તો હું કહું છું કે ભાઈ, તારામાં શ્રદ્ધા નથી, આત્મવિશ્વાસ પણ નથી, શું થશે તમારા લોકોનું?
ન તો તમારાથી ગૃહસ્થી થશે અને ન ધર્મ. કાં તો  આ પ્રકારનાં ઉદ્યોગ- ધંધો કરીને સંસારમાં યશસ્વી, સંપત્તિવાન બન અથવા બધું છોડીને અમારા પથનું અનુસરણ કરી લોકોને ધર્મનો ઉપદેશ દઈ તેમના પર ઉપકાર કર; ત્યારે તું અમારી જેમ ભિક્ષા પામીશ. લેણ-દેણ ન રહેવાથી કોઈ કોઈની સામે જોતું નથી, જોઈ તો રહ્યો છે, અમે ધર્મની બે વાતો સંભળાવીએ છીએ, ગૃહસ્થ લોકો અમને અન્નના બે દાણા આપે છે. તે લોકો તમને તે પણ કેમ દેશે ? નોકરીની ગુલામીમાં, આટલું દુ:ખ જોઈને પણ તમે ચેતતા નથી! એટલે દુ:ખ પણ દૂર નથી થતા. આ ચોક્કસ જ દેવી માયાનું છળ છે. તે દેશમાં મે જોયું જે લોકો પ્રયત્ન કરીને વિદ્યા બુદ્ધિ દ્વારા પોતાનું નામ રોશન કર્યું છે, તેમનાં બેસવા માટે પ્રથમ હરોળમાં બેઠકો હોય છે. તે બધાં દેશોમાં જાતિ-ભેદની માથાફુટ નથી. ઉદ્યમ અને પરિશ્રમથી જેના પર ભાગ્ય- લક્ષ્મી પ્રસન્ન છે, તેને જ દેશનો નેતા અને ભાગ્ય નિર્માતા માનવામાં આવે છે અને તારા દેશમાં જાત-નાતનું મિથ્યાભિમાન છે, એટલે તમને અન્ન મળતું નથી. તમારામાં એક સોઈ સુધ્ધાં તૈયાર કરાવાની યોગ્યતા નથી.અને તમે લોકો અંગ્રેજોના ગુણ દોષોની આલોચના કરવામાં ડુબ્યા છો! મુરખ! જા એમના પગમાં પડ; જીવન સંગ્રામની યોગ્ય વિદ્યા, શિલ્પવિજ્ઞાન અને કાર્યકુશળતા શીખ, ત્યારે તું લાયક બનીશ અને ત્યારે તમારા લોકોનું સમ્માન થશે. તેઓ પણ ત્યારે તમારી વાત માનશે. માત્ર કોંગ્રેસ બનાવીને બૂમો પાડવાથી શું થશે?
શિષ્ય:  પરંતુ મહારાજ, દેશનાં બધા શિક્ષિત લોકો તેમાં સામેલ થઈ રહ્યાં છે.
સ્વામીજી:થોડી પદવી મેળવવાથી અથવા સારૂં ભાષણ દેવાથી જ તેઓ તારી દ્રષ્ટિમાં શિક્ષિત થઈ ગયાં! જે શિક્ષણ સાધારણ વ્યક્તિને જીવન સંગ્રામ માટે સમર્થ નથી બનાવી શકતું, જે મનુષ્યમાં ચરિત્ર બળ, પરહિત ભાવના તથા સિંહ જેવું સાહસ નથી લાવી શકતું, એ પણ કાંઈ શિક્ષણ છે? જે શિક્ષણથી પોતાના પગ પર ઊભા થઈ શકાય તે શિક્ષણ છે. આજકાલનાં આ બધા શાળા-મહાશાળામાં ભણીને તમે લોકો ન જાણે અજીર્ણના રોગીઓ જેવી એક જમાત તૈયાર કરી રહ્યાં છો. માત્ર એક યંત્રની જેમ મહેનત કરી રહ્યાં છો અને “जायस्य म्रियस्व” વાક્યનાં સાક્ષીનાં રૂપમાં ઊભા છો. જે ખેડૂત, મજૂર, મોચી, મેહતર વગેરેની કર્મશીલતા અને આત્મનિષ્ઠા તમારાનાં ઘણાથી ક્યાંય વધારે છે. તેઓ ચીરકાળથી ચુપચાપ કામ કરી રહ્યાં છે, દેશનું ધન-ધાન્ય ઉત્પન્ન કરી રહ્યાં છે, પરંતુ પોતે ફરિયાદ નથી કરતાં. તે લોકો જલ્દી જ તમારા લોકોથી આગળ આવી જશે. પૈસા એમનાં હાથમાં જઈ રહ્યા છે તમારી જેમ તેઓમાં ખામી નથી. વર્તમાન શિક્ષણથી તમારૂં માત્ર બહારથી પરિવર્તન થઈ રહ્યું છે, પરંતુ નવી નવી ઉદ્દભવતી શક્તિના અભાવથી તમે લોકો ધન કમાવાનો નવો ઉપાય શોધી નથી શકતાં. તમે લોકોએ આટલાં દિવસ બઘી સહનશીલ નીચલી જાતિઓ પર અત્યાચાર કર્યો છે. હવેથી  લોકો તેનો બદલો લેશે અને તમે લોકો ‘હા’ નોકરી, કરીને લુપ્ત થઈ જશો.
આ પ્રકારના વાર્તાલાપ પછી સ્વામીજીએ શિષ્યને કહ્યું –“આ બધી વાતો હવે રહેવા દે-તેં હવે શું નક્કી કર્યું, કહે! હું તો કહું છું, જે કંઈ પણ થાય, તું કર ચોક્કસ. કાં તો કંઈ વેપારનો પ્રયત્ન કર, અથવા અમારી જેમ आत्मनो मोक्षार्थ जगत्हिताय च (પોતાના મોક્ષ તથા જગતનાં કલ્યાણ માટે) યોગ્ય સંન્યાસ ના પથનું અનુસરણ કર. આ અંતિમ પથ જ શંકા વગર શ્રેષ્ઠ પથ છે, નકામું ગૃહસ્થ બનવાથી શું થશે? સમજ્યોને, બધું ક્ષણિક છે-  नलिनीदलगतजलतितरलम तद्रज्जीवनमतिशयचपलम् (કમળના પાંદડા પર રાખેલું  આ પાણી ચંચળ છે, તેની જેમ જીવન અત્યંત છે) આથી જો આ આત્મવિશ્વાસને પ્રાપ્ત કરવા આતુર છે તો સમય ન બગાડ! આગળ વધ. यदहरेव विरजेत् तदहरेव प्रव्रजेत | (જે દિવસે સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, તે જ દિવસે તેને ત્યાગીને સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ) બીજા માટે પોતાનું બલિદાન દઈને લોકોનાં ઘરે ઘરે જઈને આ અભય વાણી સંભળાવ- उतिष्ठत जाग्रत प्राप्य त्वरान्निबोधत् |

યુવાવર્ગને સ્વામીજીનો સંદેશ - ડૉ.એમ.લક્ષ્મીકુમારી






યુવાકાળનું મહત્વ અમૂલ્ય અને અગણિત છે. આ બહુ મૂલ્ય કાળ છે. આ સર્વોત્કૃષ્ટ સમય છે. તમે જેવી રીતે  આ સમયનો ઉપયોગ કરશો તેના આધાર પર જ તમારું ભાવિ જીવન નિર્ધારિત થશે. તમારી પ્રસન્નતા, સફળતા, સમ્માન અને ખ્યાતિ બધુ જ એના પર નિર્ભર છે કે તમે વર્તમાન કાળમાં કેવી રીત જીવો છો? એ વાતને યાદ રાખીએ કે આપણા જીવનનો આ અપૂર્વ સમય એ જ પ્રકારનો છે જે પ્રકારે એક કુંભારની પાસે ભીની માટી હોય છે. તે બહુ જ કુશળતાથી ભીની માટીને પોતાની ઇચ્છા અનુસાર રૂપ અને આકાર આપે છે. એ જ પ્રકારે તમે તમારા જીવન, ચરિત્ર, શારિરીક સ્વાથ્ય અને શક્તિને નિર્ધારિત આકાર આપી શકો છો, ટૂંકમાં તમે તમારી સંપૂર્ણ પ્રકૃતિને તમારી ઇચ્છા અનુસાર બનાવી શકો છો.
ભાગ્યશાળી યુવાનો ! તમારા આ મહાન દાયિત્વને સમજો, આ વિશેષ અધિકારનો અનુભવ કરો આ મહાન કાર્યને હાથમાં લો, ઇશ્વર તમારા તરફ કૃપા પૂર્ણ નજરથી જોઈ રહ્યા છે અને તમારી સહાયતા અને માર્ગદર્શન માટે તૈયાર છે. હું તમને મહાન જોવા માગું છું. વિશ્વને તમારામાં શ્રદ્ધા છે. તમારા ગુરૂઓને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. યુવાન હોવાનો અર્થ એ છે કે તમારામાં આત્મવિશ્વાસ હોય. તમે આશાજન્ય દ્રઢ સંકલ્પ સાથે કાર્ય કરો તથા આત્મ સંસ્કૃતિના મૂલ્યવાન કઠિન કાર્ય ને શુભ અભ્રિપ્રાય સાથે પૂર્ણ કરો.
ખરેખર એનાથી માત્ર તમને જ નહિ પરંતુ   બધા જ સંબંધી વ્યક્તિઓને સર્વોચ્ચ સંતોષ અને પૂર્ણતાનો અનુભવ થશે. ખરેખર તમે જ તમારા જીવનને સાચી દિશા આપી શકો છો.
આદર્શ જીવન જીવો અને તેમાં જ સ્થિર રહો. શ્રેષ્ઠતમ સદગુણોથી સાકાર રૂપમાં સાહસ પૂર્વક વળગેલા રહો. યુવાકાળમાં જ આ પ્રકિયાઓમાં વિકાસ અને પૂર્ણતા સંભવ છે આ વિશ્વાસ અને આત્મ નિર્માણ છે. આથી તમે આ ધારણા વિશેષને રજુ કરતો શબ્દ ‘સફળજીવન’ નો સાચો આશય સમજવાનો પ્રયાસ કરો. જ્યારે તમે જીવનના સંદર્ભમાં સફળતાની વાત કરો ત્યારે તેનો અર્થ માત્ર એટલો જ નથી થતો કે જે કંઈ પણ કામ તમે તમારા જીવનમાં હાથમાં લીધું કે કર્યું તેમાં તમે સફળ થાવ અથવા જે કંઈ વસ્તુને મેળવવાની ઇચ્છા કરો તેને મેળવો અથવા પૂર્ણ કરો. આનો એ પણ અર્થ નથી થતો કે તમારું નામ કે સામાજિક પદ અથવા આધુનિક ફેશનયુક્ત જીવનની તમે નકલ કરો. સાચી સફળતાનો સાર એ છે કે તમે તમારી જાતને શું બનાવો છો. તમે તમારા આચરણને કઇ રીતે વિકસિત કરો છો અને પછી ક્યા પ્રકારના વ્યક્તિ બનો છો? સફળ જીવનનો આ જ મૂળ અર્થ છે. માટે તમને સમજાશે કે મહત્વપૂર્ણ વિષય જીવનમાં સફળતાનો નથી પરંતુ જીવનની સફળતાનો છે. સફળ જીવન એ છે જે એક આદર્શ અથવા ઉદાર વ્યક્તિત્વ-નિર્માણ કરે છે. તમે જીવનમાં જે કંઇ પણ પ્રાપ્ત કર્યું છે તે સફળતાનો માપદંડ નથી પરંતુ તમે જીવન કઇ રીતે જીવો છો અને તમારુંં કાર્ય શું છે? આ બિંદુઓ પર સારી રીતે વિચાર કરી મહાન સુખ પ્રાપ્ત કરો.
આપણી મહાન સંસ્કૃતિમાં જીવનની અવધારણા ચાર સ્તરોમાં કરી છે. પ્રારંભિક સ્તર, વિકાસનું સ્તર, ઉગવાનું સ્તર અને ફળિભુત થવાની ચરમસિમાનું સ્તર. આને પ્રારંભિક કાળ અને આગળના સ્તરને સંતોષજનક વિકાસ માટે અભ્યાસ કાળ કહી શકાય છે. તમારું સ્તર ખરા અને સફળ જીવનની તૈયારીનું સ્તર છે. આમાં જ સર્વોચ્ચ  મૂલ્ય અને મહાન મહત્વ સમાયેલા છે. આ એક ખેડૂત દ્વારા ખેતર ખેડવા અને બીજ વાવવાને સમાન છે. આની તુલના તમારા ઇચ્છિત ભવન નિર્માણના પાયા સમાન પણ કરી શકાય છે. જો આ ભવન તમારા માટે મહત્વ રાખે છે તો તમે સમજી શકો છો કે આનો સાચો પાયો તો વધારે મહત્વનો હશે. ભવનની લાંબાગાળાની મજબૂતી તેના પાયા પર આધારિત છે. તમે આ જ સ્તર પર છો. તમારી તૈયારી બુદ્ધિમત્તાપૂર્ણ સાચી હોય અને આ પ્રકારની હોય જેનાથી તમે જીવનનું સાચું કલ્યાણ કરી શકો,  સર્વોચ્ચ શુભને મેળવી શકો અને તમને સ્થાયી સંતોષ અને સુખ પ્રાપ્ત થઇ શકે. તમે તમારા યુવાકાળમાં નિરંતર આ વાતનું સક્રિય ઉત્સાહ સહિત ધ્યાનમાં રાખો, આપણી સંસ્કૃતિમાં આ સ્તરને બ્રહ્મચર્યાશ્રમ અથવા વિદ્યાર્થી જીવન કહેવાયું છે. આ સ્તર પર તમે માત્ર ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરેનું જ્ઞાન મેળવતા નથી પરંતુ માનવ-સ્વભાવ,  સાચો-વ્યવહાર, આત્મ-સંયમનું વિજ્ઞાન, વિશુદ્ધ-મનનો વિકાસ, ધર્મ, મનુષ્યના કર્તવ્યો તથા આપણા પરિવાર, આપણા સમાજ અને વિશ્વની સાથે ઉચિત સંબંધોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરો.
આજે જ્યારે આપણે બધા સ્વામી વિવેકાનંદજી મહારાજની જન્મતિથિ મનાવી રહ્યા છીએ ત્યારે હું તમારી સામે વેદોમાં વર્ણવાયેલ એક વૃતાંતનું વર્ણન કરવા માગું છું.
એક સમયની વાત છે, ઇન્દ્ર દેવતાએ તેમનો દરબાર લગાવેલો હતો. તેમણે જોયું કે દિવ્ય વ્યક્તિ જે ઇશ્વરની મૂર્તિ સમાન દેખાઈ રહ્યા હતા, તેમના દરબારમાં આવી રહ્યા છે. તેને જોઈને ઇન્દ્રનાં સુરક્ષા સૈનિકોએ પોતાના શસ્ત્રો છોડી દીધા. તેઓએ તે મૂર્તિમંત આત્મતત્વને સાષ્ટાંગ પ્રણામ કર્યા. દેવી અને દેવતાઓએ તેમની પૂજા કરવાનું શરૂ કર્યું. બધાને આ વાત પર આશ્રર્ય થયું કે રાજા ઇન્દ્રએ પણ પોતાના સિહાસનથી ઉતરીને આ સર્વોચ્ચ વ્યક્તિને પ્રાર્થના કરી કે તે આવે અને ગાદી પર બિરાજમાન થાય. ઇન્દ્રની સામે સમસ્યા ઊભી થઇ. તેમને ખબર ન પડી કે તેઓ શું કરે. તેમણે પોતાના ગુરૂ પ્રજાપતિ પાસેથી સલાહ માગી. પ્રજાપતિએ તેઓને ફરીથી તે જ શક્તિની સેવા કરવાનો આદેશ કર્યો. ઇન્દ્રએ ઘણા વર્ષો સુધી તેમની નિષ્ઠાપૂર્વક સેવા કરી અને દિર્ઘ અંતરાળ પછી તેઓએ પૂછ્યું - “હે ઇન્દ્ર ! તમે શું ઇચ્છો છો” ઇન્દ્રએ આદર સહિત કહ્યું, “પૂજનીય મહારાજ, હું એ જાણવા માગું છું કે તમારી પાસે એવી કઇ શક્તિ છે જેના કારણે વગર કોઈ અસ્ત્ર શસ્ત્ર અથવા સેના, તમે ભુ: સ્વ: મહ: જન: તપ: અને સત્યમ લોકોને નિયંત્રિત કરી શકો છો?” “હે ઇન્દ્ર ! આ બહુ જ નાની વાત છે. આ માત્ર મારા ચરિત્ર અને સદગુણના કારણે છે. હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું હું તને વરદાન આપવા માગું છું. કૃપા કરી ઇન્દ્રાસનથી બીજું કંઈપણ વધારે માંગી લો !” તે મૂર્તિમંત ઇશ્વરે ઘોષણા કરી.
ઇન્દ્રએ સવિનય પ્રાર્થના કરી “જો તમે પ્રસન્ન જ છો તો મને તમારા ચરિત્ર અને તમારા બધા જ સદગુણો આપો !”
તે દિવ્ય શક્તિએ કહ્યું – “તથાસ્તું ! એક પછી એક વારંવાર મોટા વિસ્ફોટ અને આઘાતની સાથે પાંચ ચમકદાર પ્રકાશની રશ્મિઓ તેમના શરીરમાંથી નિકળી ઇન્દ્રના શરીરમાં પ્રવેશ કરી ગઈ અને તે સાથે જ તેઓ ઇન્દ્રાસન પરથી પડી ગયા. છેલ્લી રશ્મિએ ઘોષણા કરી કે તમે તમારા ચરિત્ર અને સદગુણ ઇન્દ્રને આપી દિઘા છે જ્યા ચરિત્ર અને સદગુણ છે ત્યાંજ શક્તિ, વીર્ય, સંપતિ અને પ્રજ્ઞા રહે છે.”
સ્વામી વિવેકાનંદ માનવતાના ઉત્થાન હેતુ જીવ્યા; તેઓ ઇચ્છતા હતા કે આપણી ભીતર જ્ઞાનનો પ્રકાશ(શ્રેય) અને સમૃદ્ધિ(પ્રેય) હોય. યુવાવસ્થાનું ઘણું મહત્વ છે કારણ કે આ અવસ્થામાં જ જીવન માટેની આધારશીલા બને છે. બાધાઓ આવશે, પણ તેનાથી શું ? સ્વામીજીએ કહ્યું છે કે સંઘર્ષ, સંઘર્ષ, સંઘર્ષ જ જીવનનો અનિવાર્ય ભાગ છે અને સ્થિરતા મૃત્યુ છે. વેદ ઘોષણા કરતા કહે છે - चरैवेति..चरैवेति...
ઈશ્વર તમને શ્રેય અને પ્રેય પ્રદાન કરે તમારું જીવન વિશુદ્ધ, ચરિત્ર અને સદગુણોથી યુક્ત બને. તમારા કર્મોમાં સાવધાન અને પરિશ્રમી, તમારા પ્રયાસોમાં સાચા બનો તથા તમે નિયમિતરૂપે આધ્યાત્મિક અભ્યાસ કરતા રહો. તમે સ્વામીજીની ઈચ્છાનુસાર આ બધું મેળવો અને રાષ્ટ્રનું ઉત્થાન કરતા રહો. 


સ્વાવલંબન


- પ્રા.સ્મિતાબેન ઝાલા

સ્વાવલંબનનો અર્થ છે પોતાની ક્ષમતાનો અને પ્રયત્નો પર આધારિત રહીને કામ કરવું. સ્વાવલંબનના ગુણને કારણે વ્યક્તિને બીજાની સહાયની જરૂર રહેતી નથી. પોતાના  સ્વબળે કાર્ય કરી આત્મનિર્ભર બને છે. સ્વાવલંબન માટે તીવ્ર ઈચ્છા શક્તિ અને કઠોર પરિશ્રમ જરૂરી છે. કાર્ય કરવાની ઈચ્છા શક્તિથી જ વ્યક્તિ આત્મનિર્ભર –સ્વાવલંબી બને શકે. તેના પાઠ કોઈ ભણાવી ન શકે. પરંતુ જીવનની પાઠશાળામાંથી ઘર, શાળા-કૉલેજ, મિત્રો, આસપાસનું વાતાવરણ અને સમાજ દ્વારા સ્વાવલંબી બનવાનો પાઠ વ્યક્તિ પોતાની જાતે શીખે છે. જીવનની જરૂરિયાત ધીમે-ધીમે વ્યક્તિને સ્વાવલંબન માટે કેળવે છે.
સ્વાવલંબી તે જ બની શકે જેને પોતાની જાતમાં વિશ્વાસ હોય. સ્વામી વિવેકાનંદ કહે છે. “શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, એ જ છે મહાનતાનું રહસ્ય છે.” એક દિવસ, એક અઠવાડિયુંું, એક મહિનો, એક વર્ષ આ સમયની મર્યાદા વ્યક્તિના વ્યક્તિત્વને આકાર ન આપી શકે. સ્વાવલંબનની કેડી કંડારી ન શકાય. તેના માટે જરૂરી છે સતત પ્રયત્ન. જેને કાર્યની સાધના કે જીવનની આરાધના કહી શકાય. સતત તાપમાં તપીને જ લોખંડ કોઈ ચોક્કસ ઉપયોગી વસ્તુના આકારમાં પરિવર્તિત થાય છે. તાપ તપીને જ બીજ વૃક્ષ બને છે. અનાજનો એક દાણો બીજ બનીને હજારો દાણામાં ફેરવાયને લોકોની ઉદર પૂર્તિ કરે છે. તે જ રીતે વ્યક્તિનું  સ્વાવલંબન –આત્મનિર્ભરતા, ઘર-પરિવાર, ગામ, સમાજને ઉર્જાવાન બનાવે છે. વ્યક્તિનું કાર્ય સમાજને ઉદ્યમી બનાવે છે. વ્યક્તિનું પારિવારીક- સામાજિક જીવન, આર્થિક વ્યવહાર, રાજકીય વલણ નૈતિક મૂલ્યો પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ બનાવે છે.
કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે દેશની પ્રજા-પ્રત્યેક વ્યક્તિ આત્મ નિર્ભર હોય સ્વાવલંબી હોય, ગાંધીજી કોઈ પણ કામને નાનું ન ગણતા. દરેક કામને પોતાનું સમજીને કરવામાં આવે તો વ્યક્તિ, કુટુંબ, સમાજ કે દેશની પ્રગતિ કોઈ રોકી ન શકે. દેશના દરેક નાગરિકની કાર્યતત્પરતા- સ્વાવલંબન  જ દેશની રાજકીય મૂડી છે.
એકલવ્ય સ્વપ્રયત્ને ધનુર્વિદ્યા શીખી પારંગત બન્યા હતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નિર્ધન વ્યક્તિમાંથી મહાન શિક્ષણ શાસ્ત્રી બન્યા. લાલ બહાદુર શાસ્ત્રી નિર્ધનતાની નદી પાર કરી ભારતના પ્રધાનમંત્રી  બન્યાં.
જે સમયમાં સ્નાતક થવુ એક વિરલ વાત હતી ત્યારે યુવક નરેન્દ્રનાથે બી. એ. ની ડિગ્રી મેળવેલી. કાયદાનો અભ્યાસ કરતી વખતે પોતાના પિતાના આકસ્મિક અવસાન બાદ નોકરી શોધવા ભટકવું પડ્યું હતું. અનેક ગ્રંથોના અધ્યયન પછી ઈશ્વરના અસ્તિત્વ વિશે સંશયશીલ બનેલ નરેન્દ્રનાથને શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરૂ મળતા. આઘ્યાત્મિક સાધનામાં રત થઇને ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરી. જે દેશ-દુનિયાના યુવાનો અને લોકો માટે રોલ મોડેલ છે.
સ્વાવલંબન માનવીને વાસ્તવવાદી અને આશાવાદી બનાવે છે. ભાગ્યને સહારે બેસવાને બદલે પુરુષાર્થથી પોતાની ક્ષમતાઓને વિકસાવે છે. કહેવત છે કે, સુતેલા સિંહના મોઢામાં મૃગલા આવીને પડતા નથી.
उघमेन हि सिध्धन्ति कार्याणि न मनोरथे : |
नहि सुप्तस्य सिंहस्य मुखे प्रविशन्ति मृगा :||
મનમાં નિશ્ર્ચય કરવાથી કાર્યસિધ્ધિ પ્રાપ્ત થતી નથી. કાર્ય કરીને – પરિશ્રમ કરીને જ સિધ્ધિ પ્રાપ્ત થાય છે. વિશ્વમાં જેટલી મહાન વિભૂતીઓ વિશે આપણે જાણીએ છીએ. તે બધા સ્વાવલંબી હતા જે બીજા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. તેઓ તેમના કાર્ય, કાર્ય પધ્ધતિ અને વિચારોથી આજે પણ લોકોમાં જીવી રહ્યા છે.